Connect Gujarat
ગુજરાત

દાહોદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફતેપુરામાં ગજવી સભા, ભાજપના ઉમેદવારને વિજય બનાવવા કરી અપીલ

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે

X

ફતેપુરા ખાતે ભાજપ દ્વારા યોજાયું વિજય વિશ્વાસ સંમેલન

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

ભાજપના ઉમેદવારને વિજય બનાવવા કરી લોકોને અપીલ

કોંગ્રેસના સાશનમાં થયા છે અનેકો કૌભાંડો : ભુપેન્દ્ર પટેલ

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતી

દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. દાહોદ જિલ્લાના ફતેપુરા સ્થિત ભૂરીબા પાર્ટી પ્લોટ ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચ્યા હતા. જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી.

આ સાથે દેશમાં ભાજપને ચૂંટણીમાં 400થી વધુ બેઠકો પર વિજય અપાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ચૂંટણીઓ જ્ઞાતિવાદ અને જાતિવાદ પર લડવામાં આવતી હતી, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજનીતિ શરૂ કરી છે, ત્યારે હવે વિકાસ અને પર્ફોમન્સના નામે ચૂંટણી યોજાય રહી છે. કોંગ્રેસના સાશનમાં કેટલા કૌભાંડો થયા છે, એની ચર્ચાઓ થતી હતી. આજે કેટલા કૌભાંડીઓ જેલમાં છે, એની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતાડવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

ફતેપુરા ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડીંડોર, રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડ, ધારાસભ્યો મહેશ ભુરીયા, શૈલેષ ભાભોર, રમેશ કટારા, મહેન્દ્ર ભાભોર, કનૈયાલાલ કિશોરી, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલનના પોસ્ટરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ફોટાઓ સાથે દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરનો ફોટો લગાડવામાં આવ્યો હતો, આ ફોટાને છુપાવવા માટે સફેદ સ્ટીકર મારી દેવાતા કાર્યકર્તાઓમાં કુતુહલ સર્જાયુ હતુ, જ્યારે જશવંતસિંહ ભાભોરના વિરોધીઓએ આ સ્ટીકર માર્યુ હોય તેવી કેટલાક લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો.

Next Story