Connect Gujarat
ગુજરાત

દાહોદ : ખરોદા ગામે 2 સંતાનોને કૂવામાં નાખી માતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...

પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના 2 સંતાનોને કૂવામાં ફેંકી પોતે ઝાડ પર ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો.

X

દાહોદ તાલુકાના ખરોદા ગામમાં રહેતી પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પોતાના 2 સંતાનોને કૂવામાં ફેંકી પોતે ઝાડ પર ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવી તલસ્પર્શી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગત તા. 10મી એપ્રિલના રોજ દાહોદ તાલુકાના ખરોદા ગામે ટાંડી ફળિયામાં રહેતી પરણિતા કાળીબેન અરવિંદભાઈ ભાભોર પોતાના 2 સંતાનોને લઈ ગામમાં આવેલા એક કુવા તરફ ગઈ હતી, અને પોતાના 2 બાળકો જેમાં 10 વર્ષીય વજેસીંગ ઉર્ફે વીજુ ભાભોર અને 6 વર્ષીય આરતી ભાભોરને પરણિતા કાળીબેને કુવામાં ફેંકી દીધાં હતાં અને પોતે પણ કુવાની બાજુમાં આવેલ એક ઝાડ સાથે મેક્સી બાંધી ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. કુવામાં પડેલ બંન્ને બાળકો કુવાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બંન્નેના મોત નીપજ્યાં હતાં. માતાએ તેના 2 સંતાનો સાથે અગમ્ય કારણોસર સામુહિક આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. તો બીજી તરફ એક સાથે 3 લોકોના મોત નિપજ્યાં હોવાના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ સ્થાનીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ ત્રણેય મૃતકોને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરણિતાએ પોતાના 2 સંતાનો સાથે કયા કારણોસર આત્મહત્યા કરી તે રહસ્ય હાલ અકબંધ રહેવા પામ્યું છે, જ્યારે ઘટનાના પગલે ગ્રામજનોમાં પણ અનેક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે, ત્યારે સઘળી હકીકત તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે. આ મામલે મૃતક પરણિતાના પતિ તથા સંતાનોના પિતા અરવિંદ ભાભોરે દાહોદ તાલુકા પોલીસ મથકે જાણવા જોગ અરજી આપતાં પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story