-
ઓખામંડળ તાલુકામાં મહાકાય ઉદ્યોગોના કારણે હાલાકી
-
પોતે પાયમાલ થઇ ગયા હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ
-
અનેક ખેડૂતોએ દ્વારકા પ્રાંત કચેરીએ ધરણાં પ્રદર્શન કર્યા
-
તંત્રને આવેદન પાઠવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ
-
કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં મહાકાય ઉદ્યોગોના કારણે પોતે પાયમાલ થઇ ગયા હોવાનો આસપાસના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે, ત્યારે ખેડૂતોએ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાના-મોટા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં ખાસ કરીને ઓખામંડળ તાલુકામાં ટાટા કેમિકલ્સ તેમજ RSPL ઘડી જેવા મહાકાય ઉદ્યોગો પણ આવેલા છે. જેના કારણે આસપાસના અનેક ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ટાટા કેમિકલ દ્વારા ખેતરોમાંથી ગેરકાયદેસર ખારા પાણીની પાઇપલાઈન પસાર કરવામાં આવી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જે પાઇપલાઈનમાં અવાર-નવાર ગાબડાં પડતા ખેતરોમાં દરિયાનું પાણી ફરી વળતા ખેતી બરબાદ થઇ રહી છે.
તો બીજી તરફ, ટાટા અને RSPL ઘડી કંપની દ્વારા કેમિકલ વેસ્ટ દરિયામાં નિકાલ કરાતુ હોવાથી દરિયાઈ સૃષ્ટિ સમાપ્ત થઇ રહી હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. પરિણામે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા અનેક દરિયાઈ ખેડુ બરબાદ થઇ ગયા છે. આ મામલે ભૂતકાળમાં અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ખેડૂતોનું કહેવું છે. જેના વિરોધમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઇ થાળી-વાટકા અને પાવા વગાડી તંત્ર તેમજ સરકારને જગાડવા માટે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
ત્યારબાદ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી આવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો આવનારા સમયમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત કિશાન કોંગ્રેસ સહિત ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.