બજાણા ગામે ખાનગી કંપની દ્વારા ચાલતી કામગીરી
હાઇટેન્શન વીજ લાઇનની કામગીરી દરમ્યાન દુર્ઘટના
વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં
અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતે 3 શ્રમિકોના મોત નોંધી પોલીસની કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે ચાલી રહેલી હાઇટેન્શન વીજ લાઇનની કામગીરી દરમ્યાન મહાકાય વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, દ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે સિમ વિસ્તારમાં વિન્સોલ કંપની દ્વારા હાઇટેન્શન વીજ લાઇનની કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ બપોરના સુમારે કેટલાક શ્રમિકો વીજ ટાવર ઉભો કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ગંભીર દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મહાકાય વીજ ટાવર ધરાશાયી થતાં 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ઇજાગ્રસ્ત અન્ય શ્રમિકોને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર રીતે ઘાયલ વધુ એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આમ, આ ઘટનામાં મૃત્યુઆંક 3 પર પહોચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કામગીરી દરમ્યાન મહાકાય વીજ ટાવર અચાનક નીચે પડતાં અકસ્માતે 23 વર્ષીય પુરિમલ મારડી, 24 વર્ષીય નિસ્તર રુલ અને 25 વર્ષીય તન્મય મુરમુ નામના શ્રમિકોનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની છે. તો બીજી તરફ, પોલીસે પણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.