રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં 9 બાળકો સહિત 33 લોકો આગમાં હોમાયા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. ત્યારે આ દુર્ઘટનાને લઈને મોટો ખુલાસો થયો છે. બેજવાબદારીપૂર્વક ચાલતા વેલ્ડિંગથી આગ ભભૂકી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
આ દુર્ઘટનામાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગો કાર્ટ રેસિંગ માટે 800થી વધુ ટાયર રખાયા હતા. સાથે જ જાણવા મળ્યું છે કે ગેમિંગ ઝોનમાં ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા. આગ લાગી ત્યારે ગેમિંગ ઝોનમાં 300 જેટલા લોકો હાજર હતા. ત્યારે આ અગ્નિકાંડમાં જીવતા ભૂંજાયેલા મૃતકોના DNA ટેસ્ટ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મૃતકોની ઓળખ માટે પરિવારજનોના લોહીના સેમ્પલ લેવાની ફરજ પડી છે. મૃતદેહોના DNA રિપોર્ટ કર્યા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગ્નિકાંડના ભોગ બનેલા પરિવારજનોનો ધસારો જોઇને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. અગ્નિકાંડનાં ભોગ બનેલા પરિવારજનોને સિવિલ હોસ્પીટલની બહાર ખસેડવામાં આવ્યા છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોનાં મોત થયા છે. ત્યારે જણાવી દઈએ કે 4 વર્ષથી આ TRP ગેમ ઝોન ધમધમતો હતો.