-
હત્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો
-
ભાઈએ જ કરી હતી ભાઈની હત્યા
-
કુહાડીના ઘા મારીને કરવામાં આવી હત્યા
-
પોલીસે દફનાવેલી લાશ બહાર કાઢીને કર્યું પીએમ
-
પોલીસે હત્યારા ભાઈની કરી ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાલીયા માંડવી ગામ જ્યાં હનીફ જમાલ શેખ નામના યુવકનું મોત થતા તેમની દફન વિધિ કરવામાં આવી હતી. જો કે યુવાન હનીફ શેખની હત્યા થઈ હોવાની જાણકારી પોલીસને મળતા નવાબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો કબ્રસ્તાન પહોંચ્યો હતો. એટલું જ નહીં ઉના એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.અને કબ્રસ્તાનમાં દફન મૃતક હનીફની લાશને ખોદકામ કરી બહાર કાઢવામાં આવી હતી.તેમજ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવક હનીફ કારણ વગર ઘરમાં ઝઘડો કરતો હતો.ગત 20 એપ્રિલની સાંજે પણ ઘરમાં ઝઘડો થયો હતો.જે મામલો શાંત પડ્યો હતો,પરંતુ સવારે તે ફરી કુહાડી લઈને ઘરમાં આવ્યો હતો.જ્યાં તેની તેના ભાઈ જાવીદ સાથે ઝપાઝપી થઈ હતી.જો કે જાવીદે સૌ પ્રથમ પરિવારને કહ્યું હતું કે તે નીચે પડી જતા કુહાડો તેને વાગી ગયો જેને લઇ તેને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયો હતો.પરંતુ દેલવાડા પહોંચતા જ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
આરોપી જાવેદે બાદમાં તેણે જ પોતાના ભાઈની હત્યા કર્યાનું નાના ભાઈને કહેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જાવેદે બાદમાં કહ્યું હતું કે હનીફ કુહાડી લઈ સવારે 8 કલાકે ઝઘડો કરવા આવ્યો હતો,ત્યારે જાવેદે તેના હાથમાંથી કુહાડી ઝૂંટવી લઈ તેના માથાના પાછળના ભાગે મારી દેતા મોત નીપજ્યું હતું.
પોલીસને હત્યાની જાણ થતા લાશને કબર બહાર કાઢી પીએમમાં ખસેડી હતી.જ્યારે આરોપી મૃતકના ભાઈ જાવીદની ધરપકડ કરી છે.ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.ગીર એસપી મનોહરસિંહ જાડેજાએ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.અને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.