અમેરિકાના ટેરીફથી સી ફુડ્સ ઉદ્યોગને ફટકો
માછીમારોની આજીવિકા સામે સર્જાયો પ્રશ્ન?
ઝીંગા એક્સપોર્ટ પર સૌથી વધારે અસર જોવા મળી
વધારાના ટેક્સને કારણે લાંબા ગાળાના ઓર્ડર રદ
વાર્ષિક 100 કન્ટેનરના જેવા કરાર પણ અટકી ગયા
ભારતના સી ફૂડસ એક્સપોર્ટ ઉદ્યોગને અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરીફનો મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને ઝીંગા એક્સપોર્ટ પર સૌથી વધારે અસર જોવા મળી છે.ગુજરાતના 18 લાખ સહિત દેશભરના 3 કરોડ માછીમારો પર સંકટનાં વાદળો ઘેરાયા હોવાનું જાણવા મળ્યું છે.
સીફૂડસ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ જગદીશ ફોફંડીના જણાવ્યા મુજબ ભારતના કુલ 7.4 બિલિયન ડોલર એટલે કે 65 હજાર કરોડના એક્સપોર્ટમાં ઝીંગાનું 70 ટકાનું કોન્ટ્રીબ્યુશન છે. તેમાં માંથી 40 ટકા એક્સપોર્ટ અમેરિકા મોકલાય છે.
હાલ અમેરિકા દ્વારા 50 ટકા ટેરીફ લાગુ કરાતા એન્ટી ડમ્પિંગ અને કાઉન્ટર વેલિંગ ડ્યૂટી સાથે મળીને 57 થી 58 ટકા સુધીનો ભાર આવ્યો છે. શરૂઆતમાં 25 ટકાનો વધારો ખરીદદારો સ્વીકારતા હતા, પરંતુ વધારાના ટેક્સને કારણે લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ રહ્યા છે. વાર્ષિક 100 કન્ટેનરના જેવા કરાર પણ અટકી ગયા છે.
સી ફૂડસ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ જગદીશ ફોફંડીના જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સ્ટેટ ગવર્મેન્ટ પહેલેથી જ માછીમારો અને એક્વા ફાર્મર્સ માટે રાહત યોજનાઓ લાવી ચૂકી છે. ગુજરાતના ઉદ્યોગ આગેવાનો પણ સરકારને વીજળી ડ્યુટીમાં રાહત, ટેક્સ ઘટાડો અને પૂરતું ફાઇનાન્સ આપવાની માંગ કરી રહ્યા છે.
ગુજરાત રીજીયનના પ્રમુખ કેતન સૂયાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો 300 કરોડનું એક્સપોર્ટ હાલ ઠપ્પ થઈ ગયું છે. જેની સીધી અસર માછીમારો પર આવશે.ગુજરાતમાં અંદાજે 15 થી 17 લાખ લોકો સીધા માછીમારી સાથે જોડાયેલા છે, જ્યારે 6 થી 7 લાખ લોકો પરોક્ષ રીતે સંકળાયેલા છે. દરિયાકાંઠે 20 હજાર મોટી ટ્રોલર બોટો અને 50 હજાર જેટલી નાની-મોટી હોળીઓ કાર્યરત છે.3 થી 3.5 હજાર માછલી ફાર્મસમાં હજારો લોકો રોજગાર મેળવે છે.આમ, કુલ મળી 17 થી 18 લાખ લોકોના જીવન પર આ સંકટનો સીધો પ્રહાર થયો છે.