/connect-gujarat/media/post_banners/c2ec9e69e0d763cedcc6715cb4d3363aa354a3eaea731744933292954dfeb12f.jpg)
ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે. પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે. કારણ કે, કેરીમાં ખરણ આવ્યું છે. ખરણ એટલે કે, આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગે છે.
આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લા આંબા વાડી વિસ્તારના... આપ જોઈ શકો છો કે, દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે. તો સાથે આંબાના નીચેના ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરીને પડી ગઈ છે. આથી આંબાવાડીયાના માલિક એવા ખેડૂતો અને ઇજારદાર ચિંતામાં મુકાયા છે. ઇજારદારને એ ચિંતા સતાવી રહી છે કે, "ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે. એક બીજી તરફ, માર્કેટમાં નાની કેસર કેરીના 1 કિલોના 5 રૂપિયા ભાવે વેચાઈ રહી છે, અને બીજી તરફ આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ અટકી ગયું છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કુપણો ફૂટવા લાગી છે. તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે. 10 દિવસ પહેલા જે નાની કેસર કેરીના 1 કિલોના ભાવ 50થી 60 રૂપિયા હતો, તે કેસર કેરી આજે 5 રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે, અને ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40 ટકા આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે, ખેડૂતને એ મૂંઝવણમાં છે કે, કેસર કેરીમાં જો આમ જ ખરણ રહેશે તો ઇજારદાર બાકીની રકમ આપશે કે કેમ.! કેસર કેરીમાં ખરણને લઈ કેરી પકવતા ગીરના ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વર્ષે પ્રથમ તબક્કામાં ફ્લાવરિંગ આવ્યું છે. બાકીનું જે બીજો અને ત્રીજા તબક્કામાં નહિવત ફ્લાવરિંગ આવ્યું છે. તેમાં પણ રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે, તેની સાથોસાથ બીજા અને ત્રીજા સ્ટેપનું જે ફ્લાવરિંગ નથી આવ્યું, તેવા આંબાઓમાં હવે નવી કૂપણો અને પાંદડાઓ આવી રહ્યા છે. તે કુદરતી પ્રક્રિયા છે, અને તેમાં કોઈ ફેરફાર થઈ ન શકે. આ સમગ્ર પ્રક્રિયા જોતા બજારમાં કેસર કેરી ઓછી આવશે જેને લઇને આ વર્ષે કેરીના ભાવો આસમાને રહેશે તેવું કૃષિ તજજ્ઞોનું અનુમાન છે.