સામકાંઠાના 30 પરિવારોની મુશ્કેલી
શાહી નદી પરનો પૂલ થઇ ગયો ધરાશાયી
પરિવહન અને ખેતીવાડીના કાર્યોમાં મુશ્કેલી
ટ્યુબ અને દોરીથી જોખમી રીતે નદી પર કરતા લોકો
વન્ય જીવો પણ ગ્રામજનોમાં રહે છે ડર
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.શાહી નદીના પુલનું ધોવાણ થતા ટ્યુબ અને દોરડાના સહારે લોકો નદી પર કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.શાહી નદીના પુલનું ધોવાણ થતા ટ્યુબ અને દોરડાના સહારે લોકો નદી પર કરી રહ્યા છે.વન વિભાગની વોટરશેડ યોજના હેઠળ બનાવાયેલો કોઝવે તાલુકા પંચાયતને સોંપવામાં આવ્યો હતો.આ કોઝવે એક તરફથી ધરાશાયી થઈ જતા, સામકાંઠા વિસ્તારના રહેવાસીઓ અને 15 ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોએ નદી પાર કરવા માટે અજીબ વ્યવસ્થા કરવી પડે છે. તેઓ એક ટ્યુબ અને દોરડાનો ઉપયોગ કરે છે. બાળકો અને મહિલાઓ સહિત તમામ લોકોએ જીવના જોખમે આ રીતે નદી પાર કરવી પડે છે. આંગણવાડીના બાળકો પણ આ મુશ્કેલીનો સામનો કરે છે.
વૈકલ્પિક માર્ગ તરીકે એક નિર્જન પગદંડી છે, પરંતુ ત્યાં દીપડાનો વસવાટ હોવાથી લોકો તે માર્ગનો ઉપયોગ કરી શકતા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નેતાઓ માત્ર ચૂંટણી સમયે વચનો આપે છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઈ કાર્યવાહી થઈ નથી.વિસ્તારમાં માત્ર ખેતીવાડી માટેની વીજળી ઉપલબ્ધ છે. ચોમાસામાં સ્થિતિ વધુ કપરી બને છે. નદીમાં પાણીની ઊંડાઈ ત્રણ મીટર જેટલી હોય છે. પ્રસૂતા મહિલાઓ અને બીમાર લોકોને લઈ જવા માટે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ આ સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા ન હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે.