ગીરસોમનાથ: શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન
શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયુ છે.
ગીર પંથકના ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટા જેવી થઈ છે કારણ કે ચોમાસામાં વરસેલા ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયેલ જેમાંથી હજુ ઉભરીને બહાર આવવા માટે મહેનત કરી રહ્યા હતા. ત્યારે જ શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયુ છે.
કમોસમી વરસાદથી ગીર પંથકના ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાની ભિતી સર્જાય છે. ખાસ કરીને તાલાલા ગીર સહિતના તાલુકામાં તુવેર, ચણા સહીતના પાકોનું ખાસુ વાવેતર થયેલ હોય તે પાકોને તથા ખેતરોમાં પડેલા પશુઓના ઘાસચારાને પણ અચાનક વરસેલા વરસાદથી વ્યાપક નુકસાન થયુ હોય સરકાર તેની નોંધ લઈ સર્વે કરાવી સહાય આપે તેવી લાગણી ગીરના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ખેડુતોએ જણાવ્યું હતું કે આ વર્ષે 25 ટકામાં તુવેરના પાકનું ખેડૂતોએ વાવેતર કર્યુ હતું. જેમાં ફ્લાવરીંગ પણ આવી ગયેલ એવા સમયે ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી તુવેરના છોડો ઢળી પડવાની સાથે ફ્લાવરીંગના ફૂલ પણ ખરી પડ્યા છે. આમ તુવેરના પાકોને મોટું નુકસાન થયુ છે. આ સિવાય ચણા, બાજરો, રાયડો અને ઘઉં જેવા રવિ પાકોને પણ નુકસાન જોવા મળી રહ્યુ છે.