મોરબીમાં પુલ તૂટી પડતાં 134 લોકોના મોત નીપજવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી સરકારને 10 દિવસની અંદર રિપોર્ટ ફાઇલ કરવા આદેશ કર્યો છે.
મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની હોનારતમાં ગુજરાત હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર તેણે આ મામલે લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે.
આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.આ સુઓમોટો દાખલ કરવાની સાથે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચવગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.