સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહાવીર સ્વામી જયંતિને લઈને ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. બીજી તરફ મહાવીરનગર ચાર રસ્તાનું નામકરણ થયું આજથી શ્રી મહાવીર સ્વામી અહિંસા સર્કલ તરીકે ઓળખ મળી.
હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લાના જિનાલયોમાં મંગળવારે ભગવાન મહાવીર સ્વામી જયંતિ નિમિત્તે ભગવાન મહાવીર સ્વામીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને ભક્તોએ સવારથી દેરાસરમાં પહોંચી પૂજન કર્યું હતું. બીજી તરફ વખરીયાવાડમાં આવેલા પ્રાચીન મહાવીર સ્વામી જૈન દેરાસરથી સમગ્ર જૈન સમાજની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ગાંધી રોડ થઈને ટાવર ચોકમાં આવી હતી. જ્યાં મહાવીરનગરથી આવેલ શોભાયાત્રા સાથે મળીને બંને શોભાયાત્રા બગીચા વિસ્તારમાં મલ્લિનાથ દેરાસર થઈને આંબાવાડી રેલવે અંડરબ્રિજ થઈને મહાવીરનગર ચાર રસ્તે પહોંચી હતી.