/connect-gujarat/media/post_banners/4c2cd9bac4a72e9e82b25dd845aa7e13a67b9016c5838cec4de850362a1fc23c.webp)
ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા લાગુ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જે અંતર્ગત પહેલા જ દિવસે જિલ્લામાં કુલ 2811 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે.
જિલ્લામાં પહેલા જ દિવસે હટાવાયેલી જાહેર મિલકતો પરથી 1224 જેટલા વોલ પેઇન્ટિંગ, 274 પોસ્ટર, 200 બેનર અને અન્ય 410 એમ કુલ 2108 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી 269 વોલ પેઇન્ટિંગ, 427 પોસ્ટર, 05 બેનર અને અન્ય 02 એમ કુલ 703 જેટલી પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરવામાં આવી છે. આમ, કુલ 2811 જેટલી પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.
આ ઉપરાંત જાહેર મિલકત પરની 165 તથા ખાનગી મિલકતો પરથી 22 જેટલા પ્રચારાત્મક લખાણો-રેખાંકનોને ભૂંસવાની/મિટાવવાની કામગીરી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી જાહેર થયાનાં 72 કલાકની અંદર આ પ્રકારની પ્રચારાત્મક સામગ્રી દૂર કરવાની થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણની કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહેવાની છે.