Connect Gujarat
ગુજરાત

જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભારતીય નૌસેના-વાલસુરા ખાતે યોજાયો "પાસિંગ આઉટ પરેડ" કાર્યક્રમ

સમારોહમાં નૌસેનાના 50 જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું હતું

X

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ભારતીય નૌસેના વાલસુરા-જામનગર ખાતે વિદ્યુત વિશેષજ્ઞતા પાઠ્યક્રમ O175નો દીક્ષાંત સમારોહ "પાસિંગ આઉટ પરેડ" કાર્યક્રમ યોજાયો હતો. જામનગર જિલ્લાના વાલસુરા સ્થિત યોજાયેલ ભારતીય નૌસેના પરેડ કાર્યક્રમમાં 36 અધિકારીઓને વિદ્યુતીય વિશેષજ્ઞતા પાઠ્યક્રમની 34 સપ્તાહની પ્રોફેશનલ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ એમટેકની ઉપાધિ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને દીક્ષાંત સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ ટ્રેનિંગમાં ભારતીય નૌસેનાના 30 અધિકારી સહિતના મિત્ર દેશો બાંગલાદેશ, મ્યાનમાર, ઘાના, મોરેશિયસના 6 આંતરરાષ્ટ્રીય અધિકારીઓ પણ સામેલ રહ્યા હતા.

સમારોહમાં નૌસેનાના 50 જવાનો દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર પ્રદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયપાલે વોર મેમોરિયલ ખાતે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. રાજ્યપાલે પરેડમાં સંમિલિત જવાનોને ઉત્કૃષ્ટ અભ્યાસ માટે તેમજ તેમની કારકિર્દીમાં આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ રાજ્યપાલશ્રીએ ટ્રેનિંગ પ્રાપ્ત કરનાર સર્વે અધિકારીઓને પોતાના જ્ઞાનને રાષ્ટ્રસેવા માટે સમર્પિત કરવા, સત્યના માર્ગ પર ચાલવા તેમજ ધર્મના આચરણ સાથે પોતાની જવાબદારીને સમર્પણ ભાવનાથી નિભાવવાની અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ સમારોહમાં કોમોડોર ગૌતમ મારવાહ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, પોલીસ અધિક્ષક દીપન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર સહિતના અધિકારીઓ તેમજ નૌસેના અધિકારીગણ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story