તિબેટિયનોના ધર્મગુરુ દલાઇલામાને 10 ડિસેમ્બર 1989ના રોજ વિશ્વ શાંતિ માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષોથી તિબેટિયનો દ્વારા આ દિવસની વિશ્વશાંતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જામનગરમાં પણ તિબેટીયનો દ્વારા વિશ્વશાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ભગવાન રાધાકૃષ્ણ મંદિર નજીક આવેલ તિબેટિયનોની ગરમ કપડાની લ્હાસા માર્કેટમાં વિશ્વશાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તિબેટીયનો આ દિવસે માર્કેટ બંધ રાખી પૂજા કરે છે. નાચગાન સહિતના કાર્યક્રમો યોજી જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત ભારત-તીબ્બત સંઘ દ્વારા તીબ્બતની આઝાદી અને ભારતમાં રહેલા તિબેટીયનોને પૂરતું રક્ષણ મળી રહે તે માટેના કાર્યો કરવામાં આવે છે. જે અંતર્ગત જામનગર પ્રવાસી મહેમાન તરીકે આવેલા તિબેટિયનોની લ્હાસા માર્કેટમાં વિશ્વશાંતિ દિવસની ઉજવણી નિમિત્તે તિબેટિયનોને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામસાહેબ બાપુના પ્રતિનિધી, મેયર બીના કોઠારી, ચેરમેન મનીષ કટારીયા, ભારત-તીબ્બત સંઘના પ્રદેશ સચિવ મહિલા વિભાગ ડીમ્પલ રાવલ, જામનગર મહિલા વિભાગ અધ્યક્ષ પાયલ શર્મા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મનોજ અડાલજા, વ્રજલાલ પાઠક સહિત મોટી સંખ્યામાં તિબેટીયનો ઉપસ્થિત રહ્યા હતા.