જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરીયાજ ગામમાં સિંહના હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગીર પંથકમાં સિંહની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સિંહ અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે, અને ક્યારેક માનવ ઉપર હુમલો પણ કરી બેસે છે. આવી જ એક ઘટના જુનાગઢ જિલ્લા માંગરોળ નજીક આવેલ સેરીયાજ ગામમાંથી સામે આવી છે. 23 વર્ષીય સનાભાઈ ડાકી નામનો યુવાન રાત્રિના સમયે મકાન નજીક ફળિયામાં સૂતો હતો. તે દરમ્યાન અચાનક સિંહે તેના ઉપર હુમલો કર્યો હતો. જોકે, યુવાને બૂમાબૂમ મચાવતા સિંહ ત્યાથી નાસી છૂટ્યો હતો. બનાવના પગલે આસપાસાના લોકો દોડી આવ્યા હતા.
આ ઘટનામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે હાલ તો ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ, રઘવાયા બનેલા સિંહનો માનવ ઉપર થયેલી હુમલાની ઘટનાથી સેરીયાજમાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે વન વિભાગ દ્વારા સિંહને વહેલી તકે પાંજરે પુરાવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.