રાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે અંતર્ગત વડાલથી વંથલી સુધી નવો બાયપાસ રોડ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ આ બાયપાસ રોડ શરૂ થાય તે પૂર્વે કેટલાક ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આખરે શું છે તેમની મુશ્કેલી જુઓ આ અહેવાલમાં...
આ દ્રશ્યો છે, રાજકોટ-સોમનાથ હાઇવે પરના નવા બાયપાસના. જે બાયપાસ અંતર્ગત આવતા વધાવી, વિરપુર, ગલિયા વાડા, સરઘ વાડા, સુખ્પુર સહિતના અંદાજે 200 ખેડૂતોની પડતર માંગ હજૂ સુધી પૂર્ણ કરાય નથી. અહીંના ખેડૂતોને બાયપાસ રોડ તૈયાર થતા પૂર્વે બાહેંધરી આપવામાં આવી હતી કે, આ તમામ ગામની હદમાં પસાર થતા બાયપાસ રોડ પર ચોક્કસ સર્કલ તૈયાર કરી દેવામાં આવશે. જેથી લોકોને એક તરફથી બીજી તરફ જવામાં મુશ્કેલી ન પડે. સર્વિસ રોડ પરથી ખેતરે નીચે ઉતરવા માટે રસ્તાની તંત્ર પરવાનગી આપશે. પરંતુ આ મંજૂરી હજી સુધી આપવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પડતર માંગ મામલે ખેડૂત નેજા સમિતિના નેજા હેઠળ આ તમામ ગામના લોકો દ્વારા આજે જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને જુનાગઢ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો માંગ પૂર્ણ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.