Connect Gujarat
ગુજરાત

ખેડા : કપડવંજ શહેરીજનોને શહેરના અતુલ્ય વારસાનું સંવર્ધન કરવાની અપીલ સાથે “હેરિટેજ વોક” યોજાય...

આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું કે, હેરિટેજ વોકથી સ્થાનિક લોક લાગણીને વારસા સાથે જોડીને કપડવંજના ઇતિહાસને જાગૃત કરવાની તક મળશે.

ખેડા : કપડવંજ શહેરીજનોને શહેરના અતુલ્ય વારસાનું સંવર્ધન કરવાની અપીલ સાથે “હેરિટેજ વોક” યોજાય...
X

ખેડા જિલ્લા કલેકટ કે.એલ. બચાણીની આગેવાનીમાં કપડવંજ શહેરના ઐતિહાસિક સ્થાપત્યોને ઉજાગર કરવાના ઉમદા પ્રયત્નના ભાગરૂપે ટીમ અતુલ્ય વારસો, કપડવંજ કેળવણી મંડળ અને દાણી ફાઉન્ડેશનનાં સહયોગથી કપડવંજ નગરપાલિકા સાથે મળીને સૈફી લાયબ્રેરી, મોટી વોરવાડથી ગાંધી બાવલા થઈ કુંડવાવ સુધીની હેરિટેજ વોક યોજવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું કે, હેરિટેજ વોકથી સ્થાનિક લોક લાગણીને વારસા સાથે જોડીને કપડવંજના ઇતિહાસને જાગૃત કરવાની તક મળશે. કપડવંજ શહેરનો ટૂંકો ઐતિહાસિક પરિચય આપતા તેમણે જણાવ્યું કે મહાભારતમાં પણ કપડવંજનો ઊલ્લેખ મળે છે. સિદ્ધરાજ જયસિંહ, ગાયકવાડ અને અંગ્રેજ સરકારના શાસન હેઠળથી પસાર થયેલ કપડવંજ તેની બેજોડ ગટર વ્યવસ્થા, વણાટ કામ, અકીક અને કાચ ઉદ્યોગ માટે જાણીતું રહ્યું છે. હિન્દુ, મુસ્લિમ અને જૈન સ્થાપત્યોના સંગમ સમી આ સાંસ્કૃતિક નગરીએ રાજેન્દ્ર શાહ જેવા તેજસ્વી કવિ, વેપારી ઇશાક બંદુકવાલા અને એચ. ઝારીવાળા તેમજ ફીલેન્થ્રોપીસ્ટ સહિતના મહાનુભાવોની જગતને ભેટ આપી છે, ત્યારે તમામ કપડવંજના નાગરિકોની ફરજ છે કે, આ વારસાનું ગૌરવ સમજીને તેના જતન અને સંવર્ધન માટે સહિયારો પુરુષાર્થ કરવામાં આવે. કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલે હેરિટેજ વોકમાં આવેલા તમામનું અભિવાદન કર્યું હતું અને કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. હરીશ કુંડલીયાએ કપડવંજ શહેરના વારસા માટે પ્રયત્નશીલ અગ્રણી વીતા દાણીને યાદ કર્યા હતા, તથા આગામી દિવસોમાં જન ભાગીદારીથી કપડવંજ શહેરને યુનેસ્કો હેરિટેજ ટેગ અપાવવા માટેના પ્રયત્નો કરવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન તથા નગર સેવા સદન, કપડવંજના સહકાર દ્વારા કપડવંજના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે અમલીકરણ સંસ્થા તરીકે ગાંધીનગરની અતુલ્ય વારસો સંસ્થા દ્વારા કપડવંજ હેરીટેજ સીટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેના અંતર્ગત કપડવંજ નગરમાં હેરીટેજ વિશે અને લોક જાગરૂકતા કેળવવા માટે જુદી જુદી પ્રવૃતિઓ સમયાંતરે યોજાતી રહે છે.

કપડવંજ હેરીટેજ વોક શા માટે?

મહોર નદી કાંઠે વસેલ અને તત્કાલીન સમયે વેપાર વાણિજ્યના કેન્દ્ર સ્થાને રહેલ કપડવંજ નગર ખેડા જિલ્લામાં આવેલું વારસે મઢેલું નગર છે. પ્રાચીન સમયમાં આ નગર કર્પટવાણીજ્ય કે કપડવણજ જેવા નામે પ્રચલિત હતું, જે આજે કપડવંજ નામે સુપ્રસિદ્ધ છે. મહોર નદીના કાંઠેથી અકીક અને ચર્ટની પતરીઓ વગેરે મળે છે. મહાભારતના સભાપર્વમાં પંચકર્પટનો તથા સ્કંદપુરાણના ધર્મારણ્ય ખંડમાં કપડવાણક અને કપડવણજનો ઉલ્લેખ નોંધનીય છે. એ ઉપરાંત, અહીં આવેલ હર્ષદમાતાનું મંદિર ચાવડા રાજવંશનું શાસન સૂચવે છે. નગરના હાર્દમાં આવેલ કીર્તિતોરણ અને શિવકુંડ, બત્રીસકોઠાની વાવ અને નજીકના કેટલાક દેવાલયો કપડવંજને સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે જોડે છે અને સોલંકીકાળ દરમિયાન (ઈ. સ. ૯૪૨- ૧૩૦૪) પણ આ નગર મહત્વનું કેન્દ્ર હોવાનું સાબિત થાય છે. ત્યારબાદ સતત સુલતાનકાળ, ગાયકવાડી શાસન, બ્રિટીશ શાસન, આઝાદીની વિવિધ ચળવળો, એ તમામ ઐતિહાસિક સમયમાં આ નગર અડગ રહ્યું અને સમયાંતરે વિકાસ પામતું રહ્યું. આઝાદીની ચળવળમાં પણ કપડવંજ અને કઠલાલના લોકોએ સક્રિય ભાગ લીધો હતો. સતત ચડતી-પડતી દરમિયાન પણ અહીં વેપાર-વાણિજ્યની પ્રવૃતિઓ અકબંધ રહી અને તે જ કારણે તત્કાલીન સમયે કપડવંજ આસપાસના બધા વિસ્તારોમાં વેપારી કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. કપડવંજ નગરનો ઈ.સ. ૧૮૩૦માં અમદાવાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ઈ.સ. ૧૮૩૮થી તે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ થયું અને આજે પણ ખેડા જિલ્લાના એક મહત્વપૂર્ણ તાલુકા સ્થળ, શહેર તરીકે પ્રસ્થાપિત રહ્યું છે.

કપડવંજ હેરીટેજ વોક રૂટ:

કપડવંજ હેરિટેજ વોકરૂટનો પ્રારંભ સૈફી લાઈબ્રેરીથી નિયત કરવામાં આવ્યો છે અને ત્યારબાદ અનુક્રમે ગાંધી બાવલુ, નિલકંઠ મહાદેવ, ચંચલબાઈ ટાવર, કુંડવાવ અને કીર્તિ તોરણ, મહાલક્ષ્મી મંદિર, ચબુતરો, કપડવંજના બજાર, જૈન દેરાસર સમૂહ (મોદીયાની ખડકી)થી અષ્ટપદ દેરાસર, રૈયા ગાંધીની ખડકી અને છેલ્લે શાંતિનાથ દેરાસરમાં પૂર્ણ થશે. આ હેરીટેજ વોક કુલ ૧.૪ કીલોમીટરનો છે, જેને પૂર્ણ કરતા આશરે ૨ કલાક જેટલો સમય થાય છે. આગામી સમયમાં ખેડા જીલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ગુજરાત અને રાજ્ય બહારના સંશોધકો, પ્રવાસીઓ, હેરિટેજ રસિકો માટે ખુલ્લી મુકવામાં આવશે. વોકરૂટમાં નિયત થયેલ દરેક હેરિટેજ સ્થળે વિગતો દર્શાવતું સાઈન બોર્ડ લગાવવામાં આવશે. હેરિટેજ વોકની માહિતીદર્શક બ્રોશર્સ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, અને ડીઝીટલ માધ્યમથી પણ બહોળી સંખ્યામાં પ્રસારિત કરવામાં આવશે. આ હેરિટેજ વોક ઉદ્ઘઘાટનમાં કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, મામલતદાર જયેશ પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર સાવન રતાણી, નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ, કપડવંજ કેળવણી મંડળ પ્રમુખ ડો. હરીશ કુંડલીયા, કપડવંજ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ, અતુલ્ય વારસા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ ઠાકર, કલ્પેશ શાહ, મનીષ વૈદ્ય, અન્ય સભ્યો, વોરવાડના વ્હોરા ગુરુજી જનાબ અમીલસાહેબ, આગેવાન શૈખ કમરૂદ્દીનભાઈ, અબ્દુલ કય્યુમભાઈ, કપડવંજ કેળવણી મંડળના હોદ્દેદારો, સ્થાનિક વહીવટી તંત્રના હોદ્દેદારો, કપડવંજ નગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા નગરજનો, બુરહાની સ્કાઉટ બેન્ડ-વ્હોરા સમાજ અને કેળવણી મંડળનાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Next Story