Connect Gujarat
ગુજરાત

ખેડા : આયુર્વેદિક વનસ્પતિમાંથી કઠલાલના પ્રકૃતિપ્રેમીએ બનાવ્યા અનોખા "સીડ બોલ"

હાલ સૌકોઇને જીવનદાતા એવા વુક્ષોનું મહત્વ સમજાયું, કઠલાલના પ્રકૃતિપ્રેમીએ બનાવ્યા આયુર્વેદિક સીડ બોલ.

X

કોરોના મહામારીમાં ઓક્સિજનની તીવ્ર અછત વખતે સૌ કોઇને જીવનદાતા એવા વુક્ષોનું મહત્વ સમજાયું છે, ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં રહેતા પ્રકૃતિપ્રેમી પાર્થ વ્યાસે વિવિધ આયુર્વેદિક વનસ્પતિમાંથી અનોખા સીડ બોલ તૈયાર કર્યા છે. જોકે, હવે આ સીડ બોલ આવનારી પેઢીને પણ ઘણા ઉપયોગી થશે તેવું પ્રકૃતિપ્રેમીનું માનવું છે.

તાઉતે વાવાઝોડુ આવ્યું તે સમયે અડીખમ ઉભેલા વુક્ષો પણ પડી ગયા હતા. જેમાં મોટા ભાગના વુક્ષોનો નાશ થયો હતો, ત્યારે તે સંદર્ભે કઠલાલ તાલુકાના પ્રકૃતિપ્રેમી પાર્થ વ્યાસને વિચાર આવ્યો હતો કે, આપણે વધુમા વધુ વુક્ષોની જાળવણી કરવી જોઇએ. કારણ કે વુક્ષો જ આપણી પ્રકુતિનો મુખ્ય આધાર છે. મે સૌપ્રથમ આ સીડબોલ વિશેની માહિતી સોશ્યલ મિડિયા પરથી લીધી હતી તેના વિશે બધુ જાણ્યું.

વર્મી કંપોઝ ખાતર અથવા છાણીયું ખાતર માટીમાં સપ્રમાણ પાણી દ્વારા મિક્ષ કરવાનું હોય છે. તેઓએ 30 દિવસમાં વિવિધ પ્રકારના બીજ એકત્ર કરી નવતર પ્રયોગ કર્યો છે. અલગ અલગ આયુર્વેદિક વનસ્પતિના 15થી 20 હજાર સીડ બોલ તૈયાર કર્યા છે. વિવિધ પ્રકારના બીજમાં લીમડો, આસોપાલવ, જાંબુ, અર્જુન, સાદડ, બોરસલી, ગરમાળો, ખારેક, સિંદુર, શ્રીપર્ણી, તુંબડી, ચણોઠી, આમલી, આંબળા, પુત્રજીવા, આંબાનો સમાવેશ થાય છે. ઉપરાંત ખેતરની માટી, ગાયનું છાણ અને ચુલાની રાખ સાથે પાણી મેળવી ગોળો બનાવી તેમાં વચ્ચે બીજ ખોસી દઇ સુકવીને સીડ બોલ તૈયાર કર્યા છે.

આ સીડ બોલ શુકાયા બાદ તેને કોઇપણ ફળદ્રુપ જમીનમાં રાખીએ અને તેને વરસાદનું પાણી લાગે તો તેમાંથી બીજ ફુટી નીકળી માત્ર 5 જ દિવસમાં નાનો છોડ તૈયાર થઇ જાય છે, ત્યારે હવે આયુર્વેદિક વનસ્પતિમાંથી તૈયાર કરાયેલા સીડ બોલ આવનારી પેઢીને પણ ઘણા ઉપયોગી નીવડશે તેવું પ્રકૃતિપ્રેમીએ જણાવ્યુ હતું.

Next Story