/connect-gujarat/media/post_banners/c7043587b803f3a28005add3d7391f1d6ab14236b052b3dfe04505e3d8268267.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 28મી ઓગષ્ટે કચ્છ જિલ્લામાં નિર્માણ પામેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ત્યારે વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં ભોગ બનેલા બાળકોની યાદમાં "વીર બાળક સ્મારક"નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આવો જાણીએ વીર બાળક સ્મારકની વિશેષતાઓ અને આકર્ષણો...
કચ્છમાં તા. 26 જાન્યુઆરી 2001ના રોજ ગણતંત્ર દિવસે 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં, ત્યારે આવેલા ભૂકંપના કારણે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ગોઝારી ધટનામાં જીવ ગુમાવેલા માસુમ આત્માઓની યાદમાં કચ્છના અંજારમાં અંદાજે 17 કરોડના ખર્ચે "વીર બાળક સ્મારક" બનાવવામાં આવ્યું છે, જ્યાં આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી આપવા 5 વિભાગમાં આ સ્મારકનું નિર્માણ કરાયુ છે. જેની વિશેષતા પર નજર કરીએ તો, અહી મેમોરિયલની દિવાલ પર દિવંગતોના નામ લખવામાં આવ્યા છે, અને તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ડિઝિટલ મશાલ નિર્માણ કરાઈ છે. જેના પ્રકાશ પુંજને અંજાર શહેરમાંથી જોઈ શકાશે. મ્યૂઝિયમમાં દિવંગત બાળકોની તસવીરો અને સ્મૃતિચિહ્નો રખાયા છે.
ગુજરાતના નકશાનું પ્રતિકૃતિ જમીન પર રાખવામાં આવ્યું છે, જ્યાં સમગ્ર રાજ્યમાં ભૂકંપની ક્યાં કેવી અસર થઈ હતી તે દર્શાવે છે. ભૂકંપનું કેન્દ્રસ્થાન રહેલા એવા અંજાર શહેરના નકશાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્મારકમાં સ્ટિમ્યુલેટર પણ છે. જે મુલાકાતીઓ ભૂકંપનો લાઈવ અનુભવ કરાવશે. આ ઉપરાંત જ્ઞાન-વિજ્ઞાન ગેલેરી છે, જ્યાં બાળકો મોડેલ દ્વારા જાણી શકશે કે, ભૂકંપ કેવી રીતે આવે છે અને તે અંગે મોડલ તૈયાર કરવામાં આવ્યા છે.