કચ્છ : રાપરના શીરાનીવાંઢ ગામે પાણી ચોરીનો મામલો, ગામજન ભરઉનાળે તરસ્યું બન્યું
કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં શીરાનીવાંઢ ગામ ભરઉનાળે તરસ્યું બની ગયું છે,નર્મદા કેનાલમાંથી થતી ધૂમ પાણી ચોરીના કારણે ગામને પીવાનું પાણી મળતું નથી ત્યારે મુદ્દો ઉકેલવા રજૂઆત કરવામાં આવી છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં શીરાનીવાંઢ ગામ ભરઉનાળે તરસ્યું બની ગયું છે,નર્મદા કેનાલમાંથી થતી ધૂમ પાણી ચોરીના કારણે ગામને પીવાનું પાણી મળતું નથી ત્યારે મુદ્દો ઉકેલવા રજૂઆત કરવામાં આવી છે.
રાપર તાલુકામાં શીરાનીવાઢ ગામ તાલુકામથકથી 60 કિલોમીટર દૂર આવેલ છે.આ ગામની વસ્તી ત્રણ હજાર જેટલી છે અને પશુધન ચાર હજારથી વધુ છે. સ્થાનિકે પીવાના પાણીના કોઈ સ્ત્રોત નથી.બાલાસર સંપમાંથી પાણી આપવામાં આવે છે,પરંતુ વચ્ચે બિનકાયદેસર રીતે પાણી ખેંચી લેવામાં આવે છે. જેના કારણે પાણી શીરાનીવાંઢ સુધી પહોંચતું નથી. હાલમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. શીરાનીવાંઢને પીવાના પાણીની વ્યવસ્થા નહીં થાય તો સમગ્ર ગામને હિઝરત કરે તેવી પરિસ્થિતી ઊભી થઈ છે અને આ અંગે ગ્રામ પંચાયત સરપંચ હરેશ ઠાકોર દ્વારા સ્થાનિક નાયબ કાર્યપાલક ઈજનેરને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે,છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઇ નથી. હાલ સમગ્ર ગામ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યું છે ત્યારે કોઈપણ પરિસ્થિતીમાં ટેન્કર અથવા લાઈન દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે માંગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા હલ નહીં થાય તો ગામ લોકો પાણી પુરવઠા કચેરી સામે આંદોલન છેડશે તેમ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.