/connect-gujarat/media/post_banners/d096a83f0ad15448d33b507775bf40faa01cfaafa0ffcdb62b0481075bfe0e89.jpg)
નર્મદા જિલ્લાની 2 દિવસીય મુલાકાતે પધારેલા ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુ બાબરિયાએ નાંદોદ તાલુકાની તરોપા ગામની આંગણવાડીની મુલાકાત લીધી હતી.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુ બાબરિયાએ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા અને ગરૂડેશ્વરના સમારિયા ગામે આંગણવાડીની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ બાળકો સાથે હળવાશથી તેમની રોજિંદી પ્રવૃતિઓ તેમજ આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા નાસ્તા અને શિક્ષણ અંગે પૃચ્છા કરી હતી. ત્યારબાદ કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે ચર્ચા કરી તેમને આંગણવાડીમાંથી આપવામાં આવતા એક સમયના ભોજનની ગુણવત્તા, નિયમિતતા અને કિશોરીઓને અપાતું ટેક હોમ રાશન નિયમિત મળે છે કે કેમ, આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તેમની લેવાતી કાળજી, THRથી તેમના જીવનમાં આવેલા બદલાવ અંગે જાણકારી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રના રસોઈ ઘરમાં તૈયાર થઈ રહેલા ભોજન, સ્ટોર રૂમમાં મુકેલા અનાજના જથ્થા અને અનાજની સ્વચ્છતાની ચકાસણી કરી હતી. અને કોઈપણ અન્ય ચીજવસ્તુઓની જરૂર હોય પૂર્ણ કરવાની અને બાળકોને ગુણવત્તાયુકત ભોજન આપવા સંચાલકોને ટકોર કરી હતી.