નવસારી : દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા ખંખેરતો શખ્સ ઝડપાયો...

લેભાગુ તત્વો પોલીસનો રોફ જમાવી પૈસા ખંખેરે છે. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે

New Update
નવસારી : દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા ખંખેરતો શખ્સ ઝડપાયો...

નકલી પોલીસ બની લોકોમાં રોફ જમાવતા શખ્સની ધરપકડ

દાંડીના દરિયા કિનારે કપલ પાસેથી પૈસા પણ ખંખેરતો હતો

લેભાગુ તત્વોથી સાવધાન રહેવા લોકોને પોલીસ દ્વારા અપીલ

નવસારી જિલ્લામાં ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની યુવક-યુવતીઓ પાસેથી પૈસા ખંખેરતા અને લોકોમાં રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લામાં ઐતિહાસિક દાંડીના દરિયા કિનારો સહેલાણીઓનું ફરવા માટે જાણીતું સ્થળ બન્યું છે, અહીં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ બેસી સમય પસાર કરે છે. આ તકનો લાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો પોલીસનો રોફ જમાવી પૈસા ખંખેરે છે. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં નકલી પોલીસની જલાલપુર પોલીસે ધરપકડ કરી છે.

દાંડીના દરિયા કિનારે અમલસાડ રહેતો યુવાન તેની મિત્ર યુવતી સાથે બીચ ઉપર બેઠો હતો. તેવામાં એક શખ્સ આવ્યો હતો, અને પોતાની ઓળખાણ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની આપી રૌફ જમાવવા લાગ્યો હતો. આ શખ્સે પહેલા તો યુવક યુવતીને ધમકાવ્યા હતા, અને ત્યારબાદ મામલાની પતાવટ પેટે 11 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે, રકઝક બાદ મામલો 300 રૂપિયામાં પત્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ દાંડીના દરિયા કિનારે ફરજ બજાવતા હોમગાર્ડને થઈ હતી. જેથી હોમગાર્ડના જણાવ્યા મુજબ આ મામલાની તપાસ એરુ ચાર રસ્તા પોલીસ ચોકીના જમાદાર રાજુ મહાલેને સોંપવામાં આવી હતી.

જેથી પોલીસે વોંચ ગોઠવીને આ શખ્સને ઝડપી લીધો હતો. જેનું નામ સરનામું પુછતાં તે નવસારીના વિજલપોરના શનેશ્વરનગર ખાતે રહેતો બ્રિજભૂષણ રામનાથ રાય હોવાનું જણાવ્યું હતું. જોકે, 4 મહિના અગાઉ પણ આવી જ રીતે દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની પૈસા ખંખેરતા હોવાની ફરિયાદને લઈ જલાલપુર પોલીસે કાર્યવાહી કરી હતી, અને હવે ફરી એક વખત પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.