Connect Gujarat
ગુજરાત

નવસારી : આદિવાસી ખેડૂતોને જંગલ-જમીન અપાવવા કોંગી ધારાસભ્ય અનંત પટેલ મેદાને…

આદિવાસીઓને તેમના જંગલ જમીનમાં હક્કો ન મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની કોંગી ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી

X

વાંસદામાં ખેડૂતોને જંગલ-જમીન અપાવવા રેલી યોજાય

કોંગી ધારાસભ્ય અનંત પટેલે તંત્રેને આપ્યું આવેદન પત્ર

આદિવાસીઓને હક નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના આદિવાસી ખેડૂતોને જંગલ જમીન આપવા કરેલા સર્વે અને ફોર્મ ભરાવ્યા બાદ પણ તેમને સનદ ન મળતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસીઓએ રેલી યોજી પ્રાયોજના વહીવટદાર અને વાંસદા મામલતદારને આવેદન પત્ર આપી જંગલ જમીનની સનદ આપવાની માંગ કરી હતી.

આદિવાસી વિસ્તારમાં આવેલા જંગલ જમીનને સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને સર્વે કર્યા બાદ તેમની માંગણી અને દાવા અનુસાર સનત અપાવવામાં આવે છે. જેમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગત વર્ષોમાં વન અધિકાર-2006 કાયદા હેઠળ અંદાજે 1,600 આદિવાસી ખેડૂતોમાંથી ઘણાની જમીન સર્વે થઈ ગઈ છે, જ્યારે ઘણાંએ દાવાઓ કર્યા છે. પરંતુ વાંસદાના પ્રાયોજના વહીવટદાર દ્વારા ગત વિધાનસભા ચૂંટણીમાં જંગલ જમીનના હક્કો આપવા તૈયારી દર્શાવી હોવાના આક્ષેપો આદિવાસી આગેવાનોએ લગાવ્યા અને આદિવાસીઓ દ્વારા વારંવારની રજૂઆતો પણ કરવામાં આવી હતી.

પરંતુ આજદિન સુધી જંગલ જમીનની સનદ ન મળતા આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ જંગલ જમીનમાં આકાશી ખેતી કરતા આદિવાસી ખેડૂતો સાથે ઘણીવાર વન વિભાગના અધિકારી અને કર્મચારીઓનો સંઘર્ષ પણ થાય છે. જેથી આજે આદિવાસી ખેડૂતો, કોંગ્રેસ આગેવાનોએ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદાના હનુમાન મંદિર નજીકથી રેલી યોજી જંગલ જમીનમાં હક્ક માટે નારા લગાવ્યા હતા.

બાદમાં પ્રાયોજના વહીવટદાર અને વાંસદા મામલતદારને આવેદન પત્ર આપી લાંબા સમયથી પડતર રહેલી જંગલ જમીનની સનદ આપવાની માંગ કરી હતી. જો આદિવાસીઓને તેમના જંગલ જમીનમાં હક્કો ન મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની કોંગી ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી હતી.

Next Story