Connect Gujarat
ગુજરાત

નવસારી: આરક સિસોદ્રા ગામે સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવતા સસ્પેન્ડ કરાયા,પંચાયતોની કામગીરી સામે સવાલ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા આરક સિસોદ્રા ગામે સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

X

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા આરક સિસોદ્રા ગામે સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે પંચાયત કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

આ છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલું આરક ગામ. આરક અને રણોદ્રા સંયુક્ત જૂથ ગ્રામ પંચાયત ધરાવે છે, ગામના સરપંચ દ્વારા 29 લાખ રૂપિયાની નાણાંની ઉચાપત કરતા હાલ ચકચાર મચી જવા પામી છે. આરક ગામમાં છેલ્લા ઘણા સમયથી સરપંચની મનમાની સામે ગામના લોકોએ અવાજ ઉઠાવ્યો છે. ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન રાઠોડ દ્વારા ગામના વિકાસ માટે આવનારી ગ્રાન્ટમાંથી ખોટા બીલો અને વાઉચરો રજૂ કરીને 29 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નવસારી જિલ્લા તાલુકા વિકાસ અધિકારીને ગામના લોકો દ્વારા આપવામાં આવી હતી જે સંદર્ભે તપાસના આદેશ બાદ સરપંચને આજે એમના હોદ્દા પરથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરક અને રણોદરા જૂથ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના લોકો દ્વારા છ મહિના પહેલા સરપંચ શર્મિષ્ઠાબેન રાઠોડ પર ગામના વિકાસના કામો ઉપર બ્રેક લગાવી હોય અને વિકાસલક્ષી કામો ના થતા હોય તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને ગામસભાના પણ એજન્ડા ગામમાં ન ફેરવતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર મામલાને લઈને રિપોર્ટ સોંપાતા એમણે આજે કાર્યવાહી કરી છે. આઠ પાનાના રિપોર્ટમાં પુરવાર થયું છે કે નાણાકીય ગેરરીતિ થઈ છે અને 29 લાખ રૂપિયાના ખોટા બીલો અને વાઉચરો બનાવી આ ગેરરીતિ આચરી હોવાનું રિપોર્ટમાં સામેલ થયું છે સમગ્ર મામલાને લઈને જ્યારે સરપંચને સવાલો કરવામાં આવ્યા ત્યારે સરપંચ દ્વારા આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને ખોટી રીતે રાજકારણમાં ફસાવ્યા હોવાની વાત કરવામાં આવી હતી

ગુજરાતના અનેક રાજ્ય જિલ્લામાં અગાઉ પણ આવા બનાવો બન્યા છે. પરંતુ ગામના વિકાસ માટે લોકોએ ચુટેલા પ્રતિનિધિઓ જ જો ગેરકાયદેસર કૃત્ય કરશે તો દરેક ગ્રામના વિકાસનું આગામી ભવિષ્ય અંધકારમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ કડક રાહે કામગીરી કરવામાં આવી રહી છે

Next Story