-
શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરમાં શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ
-
કેન્દ્રીય જળ મંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ
-
રૂ.17 કરોડના ખર્ચે સુવિધા સંપન્ન સંકુલનું થયું નિર્માણ
-
દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે દેવી-દેવતાની મૂર્તિની કરાઈ સ્થાપના
-
પાણીની બચત કરવા માટે મંત્રીએ કર્યું આહવાન
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડમાં આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે શ્રી અંધેશ્વર મહાદેવ પ્રાચીન મંદિરની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરાવે છે. શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરની લોકપ્રિયતા તથા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓની વધતી જતી અપેક્ષાઓને ધ્યાનમાં લઈને રૂપિયા 17 કરોડ કરતા વધુ ખર્ચે મંદિરમાં અનેક સુવિધા સંપન્ન સંકુલનું નિર્માણ થયું છે.
આ વિકાસ કાર્યોના ભાગરૂપે દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે દેવી-દેવતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, રામ કુટીર, નવગ્રહ, અન્ન કુટીર તેમજ અન્ય નયનરમ્ય ફુવારા અને બાગબગીચાનું નિર્માણ કરી વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.
શ્રી અંધેશ્વર મહાદેવ મંદિરનાં રજત જયંતિ સમારોહ નિમિતે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.નવસારી સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જળશક્તિ મંત્રી સી આર પાટીલે ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું.
આજે પાણીની બચત કરીશું તો ભવિષ્યની પેઢી માટે પાણીની બચત થશે અને પીવા તથા પિયત માટે પાણીની અછત દૂર કરવા સાથે ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, એસ એફ સી મુંબઈનાં સંદીપ આસોલકર, શ્રી અંધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી સાથે દાતાઓ અને પદાધિકારીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.