સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર સ્થળોએ પરવાનગી વગર ધરણા, રેલી, સરઘસની ઘટનાઓ વારંવાર બનવા પામે છે. જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઈરાદાથી જિલ્લા સેવા સદન તથા અન્ય સરકારી કચેરીના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા રસ્તા પર પ્રતીક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતુ અને મનસ્વીપણે આયોજન કરી કચેરીઓમાં તેમજ જાહેરમાર્ગ પર અવરોધ સર્જે છે.
જેના પરિણામે કચેરીઓમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે અસુવિધા સર્જાય છે, તેમજ કચેરીની તેમજ કચેરીમાં કામ કરતા કર્મચારીઓની કામગીરીને પણ અસર પહોંચે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ જાહેર વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૨/૦૮/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન પૂર્વ પરવાનગી સિવાય રાજ્ય સરકારના વિભાગો હસ્તકની કે, તેના તાબાની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસોની કે, તેમના તાબાની તમામ કચેરીઓ ખાતે તથા કચેરીઓના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ પાસેના મુખ્ય રોડ/જાહેરમાર્ગ પર ઉપવાસ, આમરણાંત ઉપવાસ, ધરણાં/ભુખ હડતાળ પર બેસવા કે, 4 કરતાં વધુ માણસો એકત્રિત થવા કે કચેરીના પરિસરથી 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા/સરઘસ/સૂત્રોચ્ચાર કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્યક્તિઓ, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિઓ, લગ્નના વરઘોડા તથા સ્મશાન યાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલા ખાસ કિસ્સા તરીકેની પરવાનગીને, સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે, અભિયાન અંતર્ગત કરવામાં આવતા આયોજનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ અથવા મદદગીરી કરનાર ઇસમો ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.