ચોમાસુ-વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ સામે તંત્ર સજ્જ
મનપા દ્વારા વિવિધ વિસ્તારોની જોખમી ઇમારતોને નોટિસ
નોટિસ પાઠવ્યા બાદ મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય
પાણી, ગટર, વીજળી કનેક્શન કાપવાની કામગીરી કરાય
મજબુર પરિવારોની આંસુ સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
આગામી ચોમાસુ અને વાવાઝોડા જેવી સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આનંદનગર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી જોખમી ઇમારતોને નોટિસ પાઠવ્યા બાદ પાણી, ગટર અને વીજળી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે, જ્યારે આવા જોખમી આવાસોમાં રહેવા મજબુર પરિવારો આંસુ સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.
ભાવનગર શહેરમાં વર્ષ 1995 પહેલાં નિર્માણ થઇ અને હાલ જર્જરિત બનેલા જોખમી આવાસોની સંખ્યા ખૂબ મોટી છે. જેમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારો હાલ જીવના જોખમે રહેવા મજબુર બન્યા છે. કારણ કે, તેમની પાસે ભાડે કે અન્ય મકાનમાં વસવાટ કરવાની સગવડ નથી.
આવા જ શહેરના આનંદનગરમાં આવેલ હાઉસિંગ બોર્ડના 15 બ્લોકના જર્જરીત 252 મકાનોને મનપા તંત્ર દ્વારા નોટિસ બાદ વીજ, પાણી અને ગટર કનેક્શન કાપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની સિદ્ધાર્થ સોસાયટી, સમર્પણ સોસાયટી, જૂનું આનંદનગર, જલારામ સોસાયટી, દીપ હાઉસિંગ સોસાયટી, શ્રદ્ધા સોસાયટીના ત્રણ માળીયાના કુલ 15 બ્લોકના 252 મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કરવા કાર્યવાહી હાથ ધરતા આ જોખમી ઇમારતોમાં વસવાટ કરતા પરિવારોની મહિલાઓ રડી પડી હતી.
આ અંગે મનપા કમિશનરે જણાવ્યુ કે, અગાઉ નોટિસો પાઠવી પૂરતો સમય આપવામાં આવ્યો હતો, જ્યારે તંત્ર કોઈ સંભવિત દુર્ઘટના મામલે જોખમ લેવા માંગતું ન હોય જેથી મનપા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.