/connect-gujarat/media/media_files/2025/04/02/nmddss-319299.jpg)
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી તિલકવાડા ઘાટ વચ્ચે વહેતી ઉત્તરવાહિ ની માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમા અર્થે ઉમટી રહ્યા છે.
તારીખ 29મી માર્ચથી શરૂ થયેલી પરિક્રમા ”નર્મદે હર” ના નાદ સાથે શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. ત્યારે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની રાહબરીમાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ નર્મદાના ચારેય ઘાટ અને પરિક્રમા રૂટ પર ઉભી કરાયેલી સુવિધાઓથી આનંદ સાથે સંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મુંબઈથી પરિક્રમા અર્થે આવેલા અને સતત ત્રણ વર્ષથી પરિક્રમા કરતા રાજ તેંડુલકરે કહ્યું કે, હું જેટલી વખત અહીં આવ્યો છું તેટલી વખત કંઈક ને કંઈક બદલાવ જોવા મળ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અહીં ખૂબ જ સારી વ્યવસ્થાઓ મળી રહી છે. અહીંના લોકોનો આવકાર અને વ્યવહાર પણ ખૂબ સારો છે. પરિક્રમા દરમિયાન યાત્રાળુઓની ખૂબ કાળજી લેવામાં આવી રહી છે, જે બદલ હું ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું.
રાજસ્થાનના ચિત્તોડગઢથી પ્રથમ વખત નર્મદા પરિક્રમા અર્થે આવેલા સંપતરામ નડ્ડાએ જણાવ્યું કે, આ પરિક્રમા અંગેની જાણકારી મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી. યોગાનુયોગ હું અમદાવાદમાં જ હતો, ત્યાંથી તિલકવાડા આવ્યો હતો. અહીં આવ્યા પછી મને આશ્ચર્ય થયું કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આટલી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાઓ પૂરી પાડવા બદલ હું સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. આ પરિક્રમાવાસીનું ખૂબ જ મહાત્મ્ય રહેલું છે. નાગરિકોએ અવશ્ય આ પરિક્રમા કરવી જોઈએ. અહીંના લોકોનો સ્વભાવ ખૂબ જ સારો છે તેમજ વિશ્રામની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ખૂબ સારી કરવામાં આવી છે. આ પરિક્રમા કાયમ થતી રહે તેવી હું આશા રાખું છું.
નર્મદા મૈયાની એક વખત સંપૂર્ણ પરિક્રમા કરી ચૂકેલા અને મૂળ પંજાબના રામદાસ પંજાબી બાબાએ નર્મદા પરિક્રમા પાછળનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, શાસ્ત્રોમાં નર્મદા મૈયાને એટલી પવિત્ર બતાવવામાં આવી છે, કે માત્ર તેનું જલપાન કરવાથી પવિત્ર થવાય છે. ધર્મશાસ્ત્રોમાં તેની પરિક્રમાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. માટે દરેક માનવીએ માઁ નર્મદાની પરિક્રમા કરવી જોઈએ.
શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે પરિક્રમા રૂટ પર આવતા ગામોના સેવાભાવી નાગરિકો પણ પદયાત્રીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. પરિક્રમાર્થીઓને રસ્તામાં પાણી, નાસ્તા, આરોગ્યની સુવિધા મળી રહે તે પ્રકારની તમામ સુવિધા અને પોલીસ વિભાગ દ્વારા રાત-દિવસ પોલીસ બંદોબસ્ત થકી સલામતીની વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. આ પરિક્રમા 24 કલાક ચાલી રહી છે.