વલસાડ : વાપીની આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ અંગેનો ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાના મિત્રને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો

New Update
  • વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝને મળી હતી ધમકી

  • ધમકી આપનારની પોલીસે કરી ધરપકડ

  • ઉત્તર પ્રદેશ પોલીસને ધમકી ભર્યો આપ્યો હતો મેસેજ

  • કંપનીમાં કામ કરતા કામદારે જ રચ્યું હતું તરકટ

  • પોતાના મિત્રને ફસાવવા માટે કર્યું કારસ્તાન 

વલસાડ જિલ્લાના વાપીના છેવાડે આવેલા મોરાઈની આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ અંગેનો ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં  આરોપીએ પોતાના મિત્રને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો છે.

વલસાડ જિલ્લાના વાપીના છેવાડે મોરાઈ વિસ્તારમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે.આ કંપનીમાં બોમ્બ બ્લાસ્ટનો એક મેસેજ ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો .આથી ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ગુજરાત પોલીસ કંટ્રોલરૂમનો સંપર્ક કરી વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળા મેસેજની જાણ કરી હતી.આથી ગુજરાત પોલીસ કંટ્રોલરૂમ દ્વારા વલસાડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી.

મોટી સંખ્યામાં પોલીસ કાફલો કંપની પર પહોંચ્યો હતો. અને કંપનીના તમામ કામદારોને બહાર કાઢી કંપનીના ખૂણે ખૂણાની તપાસ કરી હતી.જોકે કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો,પરંતુ મેસેજ કરનાર ફોન નંબરના આધારે વલસાડ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા તપાસના અંતે પોલીસે હર્ષ તિવારી નામના એક આરોપીની ધરપકડ કરી હતી.આ આરોપી આલોક કંપનીમાં જ કામ કરે છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.તે મુજબ આરોપી હર્ષ તિવારી તેની સાથે જ કંપનીમાં કામ કરતા તેના એક મિત્રને ફસાવવા માટે જ તેણે આ તરકટ રચ્યું હતું.અને પોતાના મિત્ર ધનંજય કુશવાહાના ફોન નંબરનો ઉપયોગ કરીને તેણે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલરૂમમાં આ મેસેજ કર્યો હતો.અને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે,તેવી ધમકી આપી હતી.

પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી હર્ષ તિવારી અને ધનંજય કુશવાહા બંને મિત્રો હતા.હર્ષ તિવારીએ ધનંજય કુશવાહને થોડા દિવસ તેની રૂમ પર રાખ્યો હતો.આ દરમિયાન બંને વચ્ચે હિસાબના 600 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જો કે ધનંજય કુશવાહાએ 600 રૂપિયા પરત નહીં આપતા આખરે હર્ષ તિવારીએ પોતાના જ મિત્રને ફસાવવા આ ષડયંત્ર રચ્યું હતું.

Read the Next Article

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ સ્યુસાઇડ નોટ લખી પરિવારે કરી લીધો સામૂહિક આપઘાત

શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો

author-image
By Connect Gujarat Desk
New Update
kadi mass suicide

મહેસાણાના કડીમાં વ્યાજખોરના ત્રાસથી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, જેમાં નર્મદા કેનાલમાં કૂદીને પતિ,પત્ની અને બાળકે આપઘાત કર્યો છે, વ્યાજખોરો સામે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, પોલીસને કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે.

પતિ-પત્ની અને બાળકે સામૂહિક આપઘાત કરતા જિલ્લામાં ખળભળાટ મચી છે, શંખેશ્વરના પરિવારે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું છે અને પંચાલ પરિવારની કારમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, પોલીસે કાર, સ્યુસાઈડ નોટ, મોબાઈલ કબજે કર્યો છે અને વ્યાજખારોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે, સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

કડીના આદુંદરા કેનાલમાંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર 36 વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર 10 વર્ષ, પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર 38 વર્ષનો મૃતદેહ મળ્યો છે. જે સ્યુસાઈડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધર્મેશ પંચાલે લખેલી સુસાઈડ નોટ:-

નમસ્કાર બધાને મારા છેલ્લા રામ રામ. મારે પણ જીવન જીવવાની ઘણી ઈચ્છા હતી પણ, થોડાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો અને વ્યાજના રૂપિયા પણ લીધા છે, મને બહુ જ હેરાન અને ટોર્ચરિંગ કરતા હતા. મારી જોડે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મને એવો ચકડોળમાં ફસાવ્યો કે બહાર નીકળવાનો કોઈ રસ્તો મળ્યો ન હતો.

હું મરવા જાઉં છું અને જ્યારે આ પત્ર તમને મળશે ત્યારે, કદાચ હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. સરકારને વિનંતી કરું છું કે, આ લોકો મારી પત્ની અને મારા છોકરાને જીવવા દે. બધા ભેગા થઈને મને બહુ જ માનસિક ત્રાસ આપતા હતા. હું થાકી ગયો છું.

 

કદાચ મારું એક્સિડન્ટ થાય તો એ લોકો જ જવાબદાર રહેશે. મને કોઈ જ રસ્તો દેખાતો નથી એટલે મારી જિંદગી ખલાસ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારને અપીલ કરું છું કે, મારી સાથે જે થયું એ બીજા સાથે ન થાય.

ઉર્મિલાને જણાવવા માગું છું કે, અત્યારસુધી તે મને બહુ જ સારો સપોર્ટ કર્યો. હું તારો સાથ નિભાવી ન શક્યો. તારા પર આપણા છોકરાની જવાબદારી મુકતો જાઉં છું. જો તું એને ન રાખી શકે તો એને અનાથ આશ્રમમાં મૂકી આવજે. ઉર્મિલા તું તારી જિંદગી બરબાદ ના કરતી. આપણા છોકરા ને શીખવાડજે કે, કોઈના પર વિશ્વાસ કરવો નહીં.

મારા ગયા પછી તને બધા લોકો હેરાન કરવા આવે તો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી બધાના નામ આપી દેજે. હું તને અડધે રસ્તે મૂકીને જાઉં છું, મને માફ કરજે. તારી જિંદગીમાં આગળ વધજે હજુ તારી એટલી ઉંમર નથી થઈ. જો તને કોઈ સારું ઘર મળે તો ઘર કરી લેજે અને પ્રકાશને આશ્રમમાં મૂકી દેજે. મહિનામાં એક-બે વખત મળવા માટે જજે.

તમને એકલો મૂકીને જવાનો જીવ તો નથી ચાલતો, પરંતુ મારી મજબૂરી છે, મારા કારણે હું શું કામ તમારો જીવ લઉં, મને આ લખતા બહુ જ ખોટું લાગે છે, તમને અડધે મુકીને જાઉં છું મને માફ કરજો..

લિ. ધર્મેશ પંચાલ