જુનાગઢ જિલ્લાના બામણાસામાં વ્યાજખોરોએ યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે પોલીસે 38 ગુના દાખલ કરી 36 જેટલા વ્યાજખોરોની અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતાં ઇસમો વિરુદ્ધ પગલાં લેવા અને ફરિયાદનો નિકાલ કરવા સહિત જનજાગૃતિ ફેલાવવા પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે જુનાગઢ જિલ્લાના બામણાસા ગામમાં થોડા દિવસ પહેલા વ્યાજખોરોએ યુવકની કૃરતાપૂર્વક હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરો દ્વારા યુવકની હત્યા બાદ હવે જુનાગઢ જિલ્લા પોલીસ સફાળી જાગી છે.
એ’, બી’, સી’ ડિવિઝન, જુનાગઢ તાલુકા, વિસાવદર, મેંદરડા, બીલખા, કેશોદ, માણાવદર, બાટવા, માંગરોળ, શીલ, ચોરવાડ અને માળિયાહાટીના પંથકમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લામાં પોલીસે વ્યાજખોરો સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં નાણાં ધીરધારની પ્રવૃત્તિ કરતા 99 ઇસમોની તપાસ સહિત પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે 38 ગુના દાખલ કરી 36 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી છે. પોલીસે 157 કોરા ચેક, 30 ડાયરી, 21 RC બુક, 4 જમીન અને મકાનના દસ્તાવેજ, 4 હક પત્રો, 3 પ્રોમેશરી નોટ તેમજ 1 વાહન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.