ચિખલીના ધમડાછા ગામના હળપતિ સમાજમાં રોષ
સગર્ભા મહિલા સહિત નવજાતનું કરૂણ મોત નીપજ્યું
હોસ્પિટલની બેદરકારીના પગલે મોત થયાનો આક્ષેપ
ન્યાયની માંગ સાથે ગણદેવી પોલીસને આવેદન આપ્યું
બાળકના ધબકારા ઓછા અને દર્દીને ખેંચ આવી : તબીબ
નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના ધમડાછા ગામની એક સગર્ભા મહિલા અને તેના નવજાત શિશુનું હોસ્પિટલની ગંભીર બેદરકારીના પગલે મોત નિપજતા પરિવારજનો સહિત હળપતિ સમાજના આગેવાનોએ ગણદેવી પોલીસ મથકે આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર, નવસારીના ધમડાછા ગામની કલ્પના હળપતિ નામની સગર્ભા મહિલાની ગણદેવીની જયકિશન હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવામાં આવી રહી હતી. પરિવારજનોના આક્ષેપ મુજબ, લેબર રૂમમાં નર્સ અને ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતિ પહેલાં જ સગર્ભા મહિલા નીચે પડી ગઈ હતી, જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની હતી. આ ઘટના બાદ સગર્ભા બેહોશ થઈ ગઈ હતી. સિઝેરિયન દ્વારા જન્મેલું નવજાત શિશુ મૃત અવસ્થામાં આવ્યું હતું.
પ્રસૂતા કલ્પનાની તબિયત પણ વધુ બગડતાં તેનું ગર્ભાશય કાઢવું પડ્યું હતું. ત્યારબાદ તેને નવસારીની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન કલ્પના હળપતિનું પણ મોત નીપજ્યું હતું. પરિવારજનોએ જયકિશન હોસ્પિટલના ડોક્ટર અને નર્સની બેદરકારીના કારણે નવજાત અને પ્રસૂતાના મોત થયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે જ પરિવારજનોએ જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગણદેવી પોલીસ મથકે આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે.
તો બીજી તરફ, જયકિશન હોસ્પિટલના તબીબે જણાવ્યુ હતું કે, ગર્ભમાં જે બાળક હતું તેના ધબકારા ઓછા થતા અને દર્દીને પણ ખેંચ આવી હોવાનું જણાતા ઈમરજન્સીમાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી. તે દરમિયાન તમામ 7 ડોક્ટરની ટીમ હાજર હતી. ડિલિવરી થયા બાદ બાળકની સ્થિતિ ગંભીર હોવાની જાણ થઈ, જેમાં વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં તેમને રિફર કરવાની સલાહ આપવામાં આવી હતી, ત્યારે સગાઓએ કહ્યું કે, અમારે આગળ લઈ જવું નથી. જોકે, ઓપરેશન કરતા ખ્યાલ આવ્યો કે, મહિલા દર્દીને બીમારી પણ હતી, જેની જાણકારી દર્દીના સગાઓને આપીને જણાવવામાં આવ્યું હતું કે, બીમારીના કારણે દર્દીને મૃત્યુનું જોખમ પણ હોઈ શકે છે.