રાજકોટ: જેતપુરના હેન્ડલૂમ ઉદ્યોગને લાગ્યું કોરોનાનું ગ્રહણ, જુઓ શું કહી રહ્યા છે કારીગરો
રાજકોટના જેતપુર તાલુકાના માત્ર રેશમડી ગાલોળ ગામમા હાથ વણાટ નું કામ કરતા કારીગરોની કોરોના મહામારીને લીધે હાલત કફોડી બની છે. પરંપરાગત વ્યવસાય નષ્ટ થવાને આરે આવતા કારીગરો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં વિવિધ ઉદ્યોગો આવેલા છે જેમાં શાપર વેરાવળમાં મશીનપાર્ટનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે, ત્યારે વાત કરીએ રાજકોટ જિલ્લાના જેતપુરની તો જેતપુરનો સાડી ઉદ્યોગ જગવિખ્યાત છે ત્યારે જેતપુર તાલુકાના એક નાના એવા ગામ રેશમડીગાલોળમાં આજે પણ હાથબનાવટના વસ્ત્રો હાથસાળના કારીગરો દ્વારા પરંપરાગત રીતે બનાવવામાં આવે છે.
આ હાથસાળના કારીગરો દ્વારા બનાવવામાં આવતી ધાબળીની કચ્છથી લઈને કાશ્મીર સુધી ખૂબજ મોટા પ્રમાણમાં માંગ છે. કારીગરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા પેઢીદર પેઢી આ હાથસાળનું કામ કરવામાં આવી રહ્યું છે, અને જેતપુર તાલુકાના ફક્ત રેશમડી ગાલોળ ગામમાં જ હાથસાળની ધાબળી બનાવવામાં આવે છે, ઉપરાંત તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેશમડીગાલોળ ગામનાં છથી સાત પરિવારો આ હાથસાળના કામ સાથે સંકળાયેલા છે જેમાં મોટા ભાગના વણકર સમુદાયના છે.
હાથસાળના કારીગરો દિવસ દરમિયાન વધુમાં વધુ ફક્ત બે ધાબળીઓ જ બનાવી શકતા હોય છે જેમાં સંપૂર્ણ મનવશક્તિનો જ ઉપયોગ થતો હોય છે. આ કામમાં ક્યાંય પણ મશીનનો ઉપયોગ થતો નથી. હાથસાળના કારીગરો દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મજૂરી ઉપર ઉનની ધાબળી બનાવવાનું કામ કરે છે તેઓને એક ધાબળી બનાવવાની મજૂરી 140 રૂ. થી લઈને 160 રૂ. સુધી જ મળે છે, ત્યારબાદ તેઓ ધાબળી બનાવીને વેપારીને પરત મોકલી આપે છે. વેપારીઓ દ્વારા એક ધાબળીના 1000 રૂ. થી લઈને 1500 રૂ. સુધી ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે. જેમાં મોટા ફાયદો મહેનત કરતા હાથસાળના કારીગરો કરતા વેપારીઓ વધુ નફો કમાતા હોય છે.
ત્યારે તેઓ હાથસાળના કારીગરોને સરકાર કંઈક પ્રોત્સાહન આપે તેની રાહ જોઇને બેઠા છે. આ ઉપરાંત કોરોના મહામારીને કારણે કારીગરો હાલ મંદીનો સામનો કરી રહયા છે. તેમજ તેઓને હાલ પૂરતા પ્રમાણ હાથસાળનું કામ પણ નથી મળી રહ્યું જેથી તેઓ વ્યવસ્થિત પોતાનું ગુજરાન ચલાવી શકે