Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : 61 વર્ષિય નિવૃત શિક્ષકે ખેડૂતોને નવો રાહ ચિંધ્યો, પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું

ઇડરના સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે.

X

સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાંન્તિ પટેલે પોતાની નિવૃતિને પ્રવૃતિમાં બદલવા પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો છે. પ્રાકૃતિક પધ્ધતિથી કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી અને અન્ય શાકભાજીનુ વાવેતર કરે છે. કાંતિભાઇ જણાવે છે કે, માત્રને માત્ર પ્રકૃતિની સેવા અને માનવજાતની સેવા કરવી છે. ઓછુ મળશે તો ચાલશે પણ પાપ નથી કરવું. વધુમાં તેઓ જણાવે છે કે, સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે તાલીમ લઇ આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ત્યારે આ કમલમની ખેતી અંગે જાણવા મળ્યું કે આ ખેતીમાં પાણી ઓછુ અને ઉત્પાદન વધુ છે. જ્યારે તેમણે આ ખેતી અંગે ઘરે ચર્ચા કરી તો તેનો ખર્ચ જાણી પહેલા જ ના પાડી દીધી પરંતુ બીજા ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી પછી આ ખેતી કરવાનો નિશ્ચય મજબૂત થયો.આ ખેતી માટે સરકાર સબસીડી પણ આપે છે પરંતુતેઓ સરકારી કર્મચારી હતા અને આજે તેઓ પેંશનર છે આ કામની તેઓને જરૂરીયાત નથી પરંતુ તેઓ પોતાના શોખ માટે કરે છે માટે સરકારની સબસીડી ન લઈ કોઇ જરૂરીયાતવાળાને મળે તે વિચારી સબસીડી જતી કરી હતી. પોતાના ખર્ચે બે એકરમાં થાંભલા લગાવ્યા. એક થાંભલા ઉપર ચાર છોડ થાય છે એવા તેમના ખેતરમાં હાલ ૧૧૦૦ થાંભલા છે એટલે કે ૪૪૦૦ કમલમના છોડ છે. આ એક છોડ પરથી છ થી સાત કિલો ફળ ઉત્પાદન મેળવી શકાય છે. આ છોડ અલગ અલગ સમય અંતરે વાવ્યા છે કેટલાક છોડનો હજુ વિકાસ થઈ રહ્યો છે. પ્રથમ વર્ષ ફળની શરૂઆત થઈ ત્યારે ઓછુ ઉત્પાદન મળ્યું બીજા વર્ષે ૧૦૦૦ કિલો અને આ વર્ષે લગભગ ૪ થી ૫ હજાર કિલો ઉત્પાદનની ગણતરી છે. આ કમલમની કિંમત બજાર કિંમત રૂ.૨૫૦ પ્રતિ કિ.ગ્રા.છે. જ્યારે તેઓ તેમના ખેતરેથી ૧૫૦ રૂ. પ્રતિ કિ.ગ્રા. વેચાણ કરે છે. ઘરે બેઠા છુટક લોકો અને હોલસેલ વેપારી લઈ જાય છે. કમલમની ખેતીની સાથે અન્ય શાકભાજી અને ફળાઉ વૃક્ષો પણ ખેતરમાં છે. જેમાં આંબળ, આંબા, જામફળ, ખારેક, નાળિયેર, ચીકુ, અંજીર, પપૈયા,સરગવો- શાકભાજીમાં તુરીયા, હળદર,રીંગણ વગેરે દ્વારા અન્ય ત્રણ લાખની આવક ઉભી થાય છે. એમ મળી કુલ છ થી સાત લાખ રૂપિયાની આવક મળે છે. દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન-જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, રોગ અને જીવાત માટે બ્રમ્હાસ્ત્ર, નીમાસ્ત્ર, તેમજ દર્શપરણી અર્ક અને ફૂગ નાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ કરે છેઆ ખેતી પધ્ધતિ થોડી માવજત વધુ માંગે છે પરંતુ સામે તેમાં કોઈ ખર્ચ નથી. ભૂતકાળમાં જેમ ખેતી ઉતમ ગણાતી તે સમય આવતા વાર નહી લાગે.

Next Story