સાબરકાંઠા જિલ્લાના વડાલી માઁ આદ્યશક્તિ ઉપાસના કરવાના નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે ગુરુવારે સમી સાંજે પ્રથમ નોરતે માંડવીની સ્થાપના કરવામાં આવી હતી.
છેલ્લા 2 વર્ષ બાદ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ખેલૈયામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં હવે આ 8 દિવસ ગરબાની રમઝટ જામશે. નવરાત્રીમાં માઈભક્તો અને ગરબા રસિકોમાં આનંદ ઉલ્લાસ છવાયો છે, ત્યારે ભક્તો નવ દિવસ માતાજીની પૂજા-અર્ચના કરી ઉપવાસ કરશે. પહેલા નોરતે વડાલીમાં પ્રખ્યાત ગણાતી માણેકચોક નવરાત્રીનો માંડવો રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો. નવરાત્રીના પહેલા નોરતે માઁ અંબાના ધામ એવા માણેકચોકમાં બ્રાહ્મણ દ્વારા વિધિવિધાન સાથે ઘટસ્થાપન કરી માંડવીની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે જ માઈભક્તો દ્વારા માઁ અંબાની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ખેલૈયાઓ સંગીતના સથવારે ગરબાના તાલે ઝુમયા હતા.