-
સાબરકાંઠામાં સગર પરિવારનો સામુહિક આપઘાતનો મામલો
-
પરિવારના સામુહિક આપઘાતમાં આવ્યો નવો વળાંક
-
પોલીસે દુષ્પ્રેરણા અંગેનો ગુન્હો કર્યો દાખલ
-
બેંક રિકવરી એજન્ટ સહિત બે આરોપી સામે ગુન્હો નોંધાયો
-
પોલીસે એક આરોપીની કરી ધપરકડ અન્ય એક ફરાર
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે HDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ કેસમાં બીજો આરોપી અંકિત પટેલ હજુ ફરાર છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગત 12 એપ્રિલે સગરવાસમાં વિનુ મોહનભાઇ સગર, તેમની પત્ની કોકિલાબેન, બે પુત્રો અને એક પુત્રીએ ઝેરી દવા પીધી હતી.આ સામૂહિક આપઘાતમાં સારવાર દરમિયાન પતિ-પત્ની અને બે પુત્રોનાં મોત થયા હતા. પુત્રી કૃષ્ણાબેન ઉર્ફે ભૂમિબેન હાલ ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે ઇડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના જણાવ્યા અનુસાર, મૃતક વિનુભાઈએ તેમના મિત્ર મહેશ પટેલના ક્રેડિટ કાર્ડ પર 3 લાખની લોન લીધી હતી. એજન્ટ ભદ્રરાજસિંહ હપ્તાની ઉઘરાણી માટે ધમકીઓ આપતો હતો. બીજો આરોપી અંકિત પટેલ વિનુભાઈના ઘરેથી ટ્રોલી, કલ્ટી અને ઇલેક્ટ્રિક બાઈક લઈ ગયો હતો.
ઘટનાના દિવસે પરિવારે સ્ટીલના બે ગ્લાસ અને ત્રણ વાટકીમાં ઝેરી દવા પીધી હતી. પુત્રીએ બહાર આવીને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકોએ 108ને જાણ કરી હતી. પરિવારને પ્રથમ વડાલી આરોગ્ય કેન્દ્ર, પછી ઇડરની પંચમ હોસ્પિટલ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બેંક રિકવરી એજન્ટની પઠાણી ઉઘરાણીએ સગર પરિવારનો માળો પીંખી નાખ્યો હતો.ત્યારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
પોલીસે ભદ્રરાજસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.બીજા આરોપી અંકિત પટેલની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.