સાબરકાંઠા : ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ઉત્કૃઠતા કેન્દ્ર ખાતે ખેડૂતો માટે ફિલ્ડ-ડે સેમિનાર યોજાયો...
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ઉત્કૃઠતા કેન્દ્ર ખાતે 15 દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ઉત્કૃઠતા કેન્દ્ર ખાતે 15 દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અલગ અલગ જિલ્લાના ખેડૂતોને શાકભાજીની ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. તેવા સમયમાં અધત્તન તકનીકી, નિદર્શન, માર્ગદર્શન, તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અધતન તાલીમ દ્વારા સારૂ વાવેતર કરી પગભર થઇ આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌપ્રથમ શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આમ તો ગુજરાત રાજ્યનું એક માત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે 2 હેક્ટરના વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના 20 જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈના પોલી હાઉસ, જુદા-જુદા શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલનો સમાવેશ થાય છે, ત્યારે આ ઉત્કૃઠતા કેન્દ્ર ખાતે તા. 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સુધી ફિલ્ડ-ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતોને તમામ પ્રકારનું માર્ગદર્શન અપાયા બાદ ખેતી પણ બતાવવામાં આવે છે, જેથી ત્યા જઈને ખેડૂતો ખેતી કેવી રીતે થાય છે, તે પણ જાણી શકે છે.
જોકે, ફિલ્ડ ડે કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના શાકભાજીની ખેતી સાથે સંકળાયેલ 150થી 200 ખેડૂતો સેન્ટરની મુલાકાત લઈ વિવિધ નિદર્શનો વિશે માહિતગાર થઈ રહ્યા છે. આમ તો ખેડૂતોને શાકભાજી પાકોની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા જરૂરી માર્ગદર્શન અપાય છે. જેમાં ઓછા પાણી, ઓછી માટી અને ઓછા ખાતરે કેવી રીતે ખેતી કરી વધુ મબલખ ઉત્પાદન મળે તે માટે ખેડૂતો ને પહેલા તો સમજાવવામાં આવે છે, અને કેન્દ્ર ખાતે સ્ટ્રોબેરી, ચેરી ટામેટા, કેપ્સીકમ, કાકડી, ડુંગળી, ટેટી, તરબુચ, સુરતી-પાપડી, ફણસી, બ્રોકોલી જેવાં વિવિધ શાકભાજી પાકોના નિદર્શન પ્રત્યક્ષ નિહાળી કેવી બાબતોનું ધ્યાન રાખી ખેતી કરાય તે પણ સમજાવવા આવે છે. જેને લઈને અહી આવેલ ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી છોડી આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે.