Connect Gujarat
ગુજરાત

સોમનાથનો ધર્મઘ્વજ ભક્તોનો પ્રિય શ્રાવણના પ્રથમ સોમવારે 51 ધ્વજાની પૂજા કરવામાં આવી

X

"હરહર મહાદેવ,બમબમ ભોલે" ના નાદ થી પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું...

શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવા ભાવિકોમાં અનેરું આકર્ષણ

પિતૃમોક્ષ અને મનોકામના પૂર્તિ માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે સોમનાથ મહદેવની ધ્વજા પૂજા

સાંજે 7 સુધીમાં 44 હજાર થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા


દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવની ધર્મધ્વજાના અહર્નિશ દર્શન કરનાર ભક્તોમાં મહાદેવની ધ્વજા પૂજાનું પણ અદભુત આકર્ષણ જોવા મળ્યું છે.

કોઈપણ ધર્મસ્થાનનું મહાત્મ્ય તે મંદિરની ધ્વજામાં સમાયેલું હોય છે. કહેવામાં આવે છે કે જો ભક્ત માત્ર મંદિરની ધજાના દર્શન કરે તો પણ તેને ભગવાનના દર્શન કર્યાનું પુણ્ય મળે છે. સોમનાથ મહાદેવની ધ્વજા ભાવિકો માટે અનેરૂ આસ્થાનું કેન્દ્ર છે. તીર્થમાં પ્રવેશ કરતાની સાથે જ આકાશમાં ફરકી રહેલ સોમનાથ મંદિરનો ધર્મધ્વજ શ્રદ્ધાળુઓના મનમાં અનેરી આસ્થા ઉત્પન્ન કરે છે. સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા દાયકાઓથી શ્રદ્ધાળુઓમાં પરમ આસ્થા નું કેન્દ્ર રહી છે. ત્યારે આ વખતે શ્રાવણ માસમાં સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા ઊભી કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોના પૂજન અનુભવને વધુ ને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. જેની ફળ શ્રુતિ સ્વરૂપે શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારે છે ત્યારે તીર્થનું ભક્તિમય વાતાવરણ તેઓને આધ્યાત્મિક અને પૂજા કાર્ય માટે પ્રેરણા આપે છે.

આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને 51 ધ્વજા પૂજા કરવામાં આવી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિધીવિધાન થી ધ્વજા પૂજન કરીને ભક્તોએ સોમનાથ મહાદેવના પરમ સાનિધ્યનો અનુભવ કર્યો હતો. કોરોના મહામારી બાદ લોકોમાં આસ્થા વધુ સુદ્રઢ બની હોય તે ગત વર્ષોમાં શ્રદ્ધાળુઓમાં વધતી સંખ્યા અને પૂજા કાર્ય પ્રત્યેના ઉત્સાહ થી અનુભવી શકાય છે. ઉલ્લેખનીય છે કે સાંજે 7:00 વાગ્યા સુધીમાં 44 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

Next Story