Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મહારાષ્ટ્રનો પાક ગણાતી શેરડીનું સફળ વાવેતર, અન્ય ખેડૂતોને નવી રાહ...

સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી શેરડીના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે

X

સુકા મલક તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પરંપરાગત પાકનું વાવેતર છોડી શેરડીના વાવેતરનો સફળ પ્રયોગ કર્યો છે. જિલ્લાના ખોલડીયાદ, ટીંબા, બાળા અને રામપરા સહીતાના ગામોમાં અંદાજે 100 વીધાથી વધુ જમીનમાં શેરડીનો પાક લહેરાઇ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની અછતને લઇને આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એટલે કે, સુકા પ્રદેશમાં થતી કાંટાળી વનસ્પતિઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો, પરંતુ નર્મદાના નીર આવતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ પણ વાવેતરની પેટર્નમાં ધરખમ ફેરફાર કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગે કપાસ, જીરૂ, ઘઉં, ચણા અને બાજરી જેવા પરંપરાગત પાકનું જ વાવેતર કરવામાં આવતુ હતું, ત્યારે હવે ખોલડીયાદ, ટીંબા, રામપરા અને બાળા ગામના ખેડૂતોએ અંદાજે ૧૦૦ વીઘા કરતા વધુ જમીનમાં શેરડીનું વાવેતર કર્યું છે. ખોલડીયાદ ગામના ખેડૂત છેલ્લા બે વર્ષથી ૯ વિઘા જમીનમાં શેરડીનું વાવેતર કરે છે. અગાઉ આટલી જ જમીનમાં કપાસના વાવેતરથી માંડ ૫૦ હજાર જેટલી ઉપજ આવતી હતી. જેની સામે ગત વર્ષે શેરડીના વાવેતરથી લગભગ ૩ લાખથી વધુની ઉપજ આવી છે. કપાસનું વાવેતર ખર્ચાળ સાબીત થઇ રહ્યું છે, તેમજ ગુલાબી ઇયળોના ઉપદ્રવથી ઉત્પાદન અને ગુણવત્તામાં પણ ઘટાડો થતાં ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાની નોબત આવે છે, જ્યારે શેરડીના વાવેતર બાદ બહુ ખર્ચ રહેતો નથી. માત્ર નિયમિત પાણી આપવાથી શેરડીનો પાક સારો થાય છે. હાલ જિલ્લામાં નર્મદા કેનાલમાંથી પીયત માટે પાણી આપવામાં આવે છે. તેથી પાણીના પ્રશ્નની સમસ્યા પણ હલ થઇ ગઇ છે. આ સાથે જ મહારાષ્ટ્ર જેવા રાજ્યનો પાક ગણાતી શેરડીનું સુરેન્દ્રનગર જિલ્લામાં સફળ વાવેતર કરી અહીના ખેડૂતોએ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.

Next Story