સુરેન્દ્રનગર: પ્રવાસન મંત્રી મૂળ બેરાના હસ્તે રૂ.14 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયુ

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાના વરદ્દહસ્તે વઢવાણ - વાઘેલા - વસ્તડી - ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત

New Update
WhatsApp Image 2025-03-16 at 8.31.30 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક  જગદીશભાઈ મકવાણાના વરદ્દહસ્તે વઢવાણ - વાઘેલા - વસ્તડી - ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિકાસલક્ષી અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. ૩૫ વર્ષ જૂના બ્રિજને હવે નવો બનાવવામાં આવશે. નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. રોડ, રસ્તા, પાણી, પ્રવાસન સ્થળો, નગરોનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે. આ પુલનું કામ પણ ગુણવત્તાયુક્ત અને ઝડપભેર પૂર્ણ થશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત જગદીશભાઈ મકવાણાએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજના મારફત છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે હવે અમરેલી અને જૂનાગઢ જિલ્લાને પણ સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા પાણી અહીંથી પહોંચાડવામાં આવશે. ખેડૂતો આ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તે હિતાવહ છે. વસ્તડીનો આ બ્રિજ મહત્વપૂર્ણ બ્રિજ છે. ચુડા અને આસપાસના ગામડાના લોકોને સુરેન્દ્રનગર જવા માટે ખૂબ જ ઉપયોગી થશે. ટુવા, ગુંદિયાણા, ખોલડીયાદનો રસ્તો પણ ૮૩ લાખના ખર્ચે નવો બનશે. ૩૫ કરોડના ખર્ચે આ રોડ પહોળો બનશે તેમ ઉમેર્યું હતું. 

આ તકે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ, પાઘડી તેમજ તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, અંદાજે ૧૪.૯૨ કરોડના ખર્ચે ૨૦૦ મીટર લાંબો બ્રિજ બનશે. જેમાં ૮ - સ્પાન, ૨૪.૦ મીટર પાઈલ ફાઉન્ડેશન, ટી - બીમ ગર્ડર તથા ડેક સ્લેબ, એપ્રોચ વર્કની કામગીરી કરવામાં આવશે. આ મેજર બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તેમજ ચુડા તાલુકાના અંદાજિત ૪૫ જેટલા ગામોના લગભગ ૫૪,૦૦૦ જેટલા નાગરિકોને અમદાવાદ, રાજકોટ નેશનલ હાઇવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે. ચુડા તાલુકાના ખેડૂતો તેમજ વેપારીઓને સુરેન્દ્રનગર જિલ્લા સાથે પોતાના ઉત્પાદનોના આદાન-પ્રદાન માટે ચાવીરૂપ ભાગ ભજવશે. તેઓના સમય તથા ઇંધણની બચત માટે પણ મહત્વનો ભાગ ભજવશે.

આ તકે અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સરપંચશ્રીઓ, વઢવાણ અને ચુડાના આગેવાનશ્રીઓ, ગ્રામજનો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.