સ્વીટી પટેલ હત્યા કેસ: પી.આઈ.પતિએ પત્નીને કેવી રીતે મોતને ઘાટ ઉતાર્યા બાદ મૃતદેહ સળગાવ્યો, જુઓ વિડીયો
કરજણ અને દહેજના અટાલી ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, આરોપી પી.આઈ.પતિને સાથે રખાયો.
વડોદરાના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી પી.આઈ.પતિને સાથે રાખીને કરજણ તેમજ દહેજના અટાલી ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
સ્વીટી પટેલની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજય દેસાઇને લઇને કરજણ સ્થિત તેના ઘરે અને દહેજના અટાલી ખાતે જે જગ્યાએ મૃતદેહ સળગાવ્યો હતો એ સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી. જ્યાં પીઆઇને સાથે રાખીને સ્વીટી પટેલની હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
પોલીસે પીઆઇને કારમાં બેસાડીને લાશને કેવી રીતે લઇ ગયો તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત મકાનના બાથરૂમમાં લોહીના ડાઘા અંગે પણ તપાસ કરી હતી.તો અટાલી ખાતે મૃતદેહ કેવી રીતે સળગાવ્યો એ તમામ ગતિવિધિઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ પહેલા પોલીસે પીઆઇ અજય દેસાઇ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજાને સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરતાં અદાલતે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
પીઆઇએ એક મહિના પહેલાં જ તેની બહેન અન્ય વ્યક્તિના શારીરિક સંબંધથી સગર્ભા બનતાં તેનો નિકાલ કરવાની કિરીટસિંહને વાત કરી હોઇ હત્યા પૂર્વયોજિત કાવતરું હોવાની પોલીસ શંકા સેવી રહી છે. કોઇ એક વ્યક્તિ લાશને કેવી રીતે સળગાવી શકે તથા ફ્યુઅલની વ્યવસ્થા કરી શકે તે સવાલની તપાસ કરાઇ રહી છે. અટાલીના અવાવરુ હોટલની પાછળના ભાગે લાકડાના 5 ઢગલાની વ્યવસ્થા એક જ દિવસમાં કેવી રીતે કરી શકાઇ અને એક લાશ સળગાવવા અંદાજે 7 મણ લાકડા જોઇએ તો આ લાશ સળગાવવા કરાઠીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સવાલ પોલીસ માટે મહત્વનો બન્યો છે. કિરીટસિંહ જાડેજા હત્યા વિશે હજી પણ મહત્વની જાણકારી ધરાવે છે કે, કેમ તે સહિતના સવાલ પોલીસ માટે તપાસના મુદ્દા બન્યા છે.