/connect-gujarat/media/post_banners/15d27d04912146bc5f1c8f69651baa11475bfd3191a0c20fe17b2fcd84609673.jpg)
જુનાગઢના દોલતપરા નજીક આવેલ અતિ પ્રાચીન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં ભક્ત કવિ નરસિંહ મહેતા પણ મહાદેવની પૂજા અર્ચના કરવા આવતા હતા. પવિત્ર ધાર્મિક સ્થળે દર શ્રાવણ માસે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય, ત્યારે હાલ ઇન્દ્રેશ્વર મંદિર જવાનો માર્ગ સાવ ખખડધજ હાલતમાં બની જતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. તો બીજી તરફ, મંદિરના મહંત દ્વારા મનપા તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો મળી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ મુખ્ય માર્ગ નથી બની શક્યો, જે જૂનાગઢ મનપા તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે.
તો બીજી તરફ, મેયર ગીતા પરમારે જણાવ્યું હતું કે, આ રોડની ટેન્ડર પ્રક્રિયા બાદ રોડની કામગીરી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, જુનાગઢ શહેરના રોડ રસ્તાઓની તો માઠી દશા બેઠી જ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનેલા માર્ગના કારણે અતિ પ્રાચીન એવા ધાર્મિક સ્થળ સુધી જવા સારો રોડ બનાવવામાં આવે તેવી મંદિરના મહંત દ્વારા માંગ કરવામાં આવી છે.