કેશોદમાં પરિણીત યુવકના આપઘાતનો મામલો
સાસરિયાના ત્રાસથી યુવકે ભર્યું અંતિમ પગલું
પત્ની સહિતના સાસરિયાઓએ યુવકને આપ્યો ત્રાસ
છ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા આક્રંદ
બહેનોએ રાખડી કોને બાંધશુની વ્યક્ત કરી લાગણી
જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાય ગામના યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી, યુવકની છ બહેનોએ ન્યાયની માંગ સાથે આક્રંદ કર્યું હતું,અને રક્ષાબંધન પૂર્વે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા શોકમગ્ન અવસ્થામાં હવે રાખડી કોને બાંધશું તેવી દુઃખદ લાગણી વ્યક્ત કરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામના યુવકે પત્ની સહિતના સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા બહેનોએ ન્યાયની માંગ કરી છે. રક્ષાબંધનના બે દિવસ પૂર્વે એકનો એક ભાઈ ગુમાવનાર 6 બહેનોએ આક્રંદ સાથે કહ્યું હતું કે, મારો ભાઈ મારી ભાભીને લેવા માટે ગયો હતો. ત્યારે તેના સાસરિયાઓએ તેને ઢોરમાર માર્યો હતો અને સમાધાન માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી મારા ભાઈએ કંટાળીને જિંદગી ટૂંકાવી લીધી હતી. અમારી માંગણી છે કે, મારા ભાઈને મરી જવા મજબૂર કરનારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. બે દિવસ બાદ રક્ષાબંધનનું પર્વ છે ત્યારે આક્રંદ કરતા બહેનોએ કહ્યું કે, અમારો એકનો એક ભાઈ ચાલ્યો ગયો, રક્ષાબંધને રાખડી કોને બાંધીશું?
કેશોદ તાલુકાના અગતરાય ગામના રહેવાસી નિલેશ દાફડાના લગ્ન લગભગ છ મહિના પહેલા પીપળી ગામ ખાતે રહેતા કાના રાવલિયાની દીકરી જિજ્ઞાસા સાથે થયા હતા. નિલેશના પરિવારમાં છ બહેનો વચ્ચે તે એકનો એક ભાઈ હતો, અને તેના લગ્ન થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પરિવારે અને ખાસ કરીને તેની બહેનોએ ઘણા સપના જોયા હતા કે તેમનો ભાઈ લગ્નજીવનમાં સુખી થશે અને તેમનો પરિવાર આગળ વધશે. પરંતુ, આ સપનાઓ માત્ર થોડા સમય માટે જ રહ્યા હતા.
લગ્નના એક મહિના પછી, કોઈ અગમ્ય કારણોસર નિલેશ અને જિજ્ઞાસા વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. આ ઝઘડા એટલા વધી ગયા કે જિજ્ઞાસાએ પતિને છોડીને રિસામણે તેના પિયર, પીપળી ગામ, ચાલી જવાનો નિર્ણય લીધો હતો. નિલેશે તેને પાછી લાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા. તે ઘણીવાર તેને મનાવવા ગયો, પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા જ હાથ લાગી હતી.
નિલેશે લગ્નજીવન બચાવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા. જ્યારે તેની પત્ની પરત ન આવી, ત્યારે તે તેને સમજાવવા અને ઘરે પાછી લાવવા માટે પીપળી ગામે ગયો હતો. ત્યાં, તેના સાસરિયા પક્ષમાંથી સસરા કાના રાવલિયા, પત્ની જિજ્ઞાસા, અને અન્ય બે વ્યક્તિઓએ જેમાં કાજલ રાવલિયા અને તેનો પતિ નીતિન રાવલિયાનો સમાવેશ થાય છે. તેઓએ ભેગા મળીને નિલેશને ઢોર માર માર્યો હતો. આટલું જ નહીં, પરંતુ તેઓએ નિલેશને અપશબ્દો કહીને સમાધાન માટે રૂપિયા 10 લાખની માંગણી કરી હતી.આ બધી બાબતોથી આઘાતજનક પરિસ્થિતિથી નિલેશે અંતિમ ચિઠ્ઠી લખીને આપઘાત કરી લીધો હતો.સમગ્ર ઘટનામાં હાલ પોલીસ દ્વારા ફરિયાદ દર્જ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.