ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી ત્રણ બેઠકો પૈકી એક બેઠકમાં કેન્દ્રીય મંત્રી એસ જયશંકર ને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બે બેઠકો પૈકી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પૈકી કોઇ એકને ટિકિટ મળે તેવી સંભાવના છે.
મળતી માહિતી અનુસાર આ વર્ષે એટલે કે 2023ના ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થાય છે. ભાજપ પાસે 156 સભ્ય હોવાથી આ ત્રણેય બેઠકોમાં ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે ત્યારે પાર્ટીએ અત્યારથી જ બે નામોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. હાલ રાજ્યસભાની કુલ 11 બેઠકો પૈકી 8 બેઠક ભાજપ પાસે અને ત્રણ બેઠક કોંગ્રેસ પાસે છે. રાજ્યસભાના ત્રણ સભ્યોની મુદત પૂર્ણ થઇ રહી છે તેમાં ત્રણેય ભાજપના જ સભ્યો છે. આ બેઠકોમાં હાલ કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડિયા સભ્ય તરીકે ચાલુ છે. આ બેઠકોની ચૂંટણી આગામી જૂન કે જુલાઈ મહિનામાં આવે તેવી સંભાવના છે. પૂર્વ સરકારના બે નેતાઓ વિજય રૂપાણી અને નીતિન પટેલ આ બેઠક માટે દાવેદારો છે, જે પૈકી વિજય રૂપાણી અગાઉ 2006 થી 2012 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે2024ના એપ્રિલ મહિનામાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડશે, જે પૈકી બે બેઠકોમાં ભાજપના પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સભ્ય છે જ્યારે કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણ રાઠવા સભ્ય છે. ભાજપના બન્ને સભ્યો કેન્દ્રીય મંત્રી છે. આ વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે.