પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો કાલે "છેલ્લો દિવસ" : ભાજપ, કોંગ્રેસ અને AAP લગાવશે એડીચોટીનું જોર...

New Update
પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો કાલે "છેલ્લો દિવસ" : ભાજપ, કોંગ્રેસ અને AAP લગાવશે એડીચોટીનું જોર...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને આડે હવે માત્ર 3 દિવસ બાકી છે, ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખરાખરીના જંગમાં ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજા દિવસે ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે. જેમાં રાજકોટ, અંજાર પાલીતાણા અને જામનગરનો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુનનો પણ આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરશે.

ત્યારબાદ મહેસાણા અને અમદાવાદના બહેરામપુરામાં જનસભા સંબોધશે. તો કેજરીવાલ પણ આજે સતત બીજા દિવસે ગુજરાતમાં છે. તેઓ સુરતના કતાર ગામ રોડ શો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેરાલુ, સાવલી ભિલોડા અને અમદાવાદના નારાણપુરામાં સભા સંબોધશે, જ્યારે પંજાબના સીએમ ભગવંત માન બાલાસિનોર, લુણાવાડા, ડાકોર-ઠાસરા અને વડોદરામાં એમ 4 સ્થળે રોડ શો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારને લઈ આજે સુરત આવ્યાં રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીને આવકારવા રસ્તાઓ મોદી સમર્થકોથી ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા છે. આ સાથે જ પ્રધાનમંત્રીના રસ્તાનો રૂટ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યો છે.