/connect-gujarat/media/post_banners/60377990bcc77a3a1971c1eee4e1e6ed01c9f616a7e0993ea739704d348610fd.jpg)
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ખાતે યોજાયું લાભાર્થી સંમેલન
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અધ્યક્ષસ્થાને આયોજન કરાયું
PM આવાસ-ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને લાભ એનાયત
INDIA ગઠબંધન અને કોંગ્રેસ પર અમિત શાહના શાબ્દિક પ્રહાર
ઇન્ડિયા ગઠબંધન એ પરિવારવાદી ગઠબંધન : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ વિકસિત ભારત “મોદી કી ગેરંટી અભિયાન” અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કર્યા હતા. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલની સાથે ભાજપના પ્રદેશ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશના લોકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જોકે આ સંમેલનમાં સૌથી સૂચક સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના શિવસેનાના ગ્રુપના સાંસદ કલા ડેલકરની હાજરી જોવા મળી હતી. કલા ડેલકરે સ્ટેજ પર જઈ ગૃહ મંત્રી અમિત શાહનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તો બીજી તરફ, ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દે વિરોધ પક્ષોને આડે હાથ લીધા હતા. સાથે જ કાર્યક્રમમાં અમિત શાહે ઉપસ્થિત લોકોને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગે અમિત શાહ ઇન્ડિયા ગઠબંધનને પરિવારવાદી ગઠબંધન ગણાવ્યું હતું. દમણ-દીવના સાંસદ લાલુ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, કલા ડેલકર આવા કાર્યક્રમમાં આવે છે તે ઘણું સારું છે, ગૃહ મંત્રી નું સન્માન જળવાયુ છે, અને દાદરા નગર હવેલીની જીત નક્કી જ છે. 2009 અને 2014માં અમે જીત્યા જ હતા, એટલે આ વખતે પણ જીતીશું. સાથે જ કલા ડેલકરના ભાજપમાં જોડાવવાના પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, સમય સમયની વાત છે, કોઈ પણ ભાજપમાં જોડાઈ શકે છે.