માંજલપુર વિસ્તારમાં થયેલ પથ્થરમારાનો મામલો
બન્ને પક્ષ સામે માંજલપુર પોલીસે કાર્યવાહી કરી
ACP એફ’ ડિવિઝન પ્રણવ કટારીયાની પ્રેસ કોન્ફરન્સ
એક મહિના અગાઉની અદાવતમાં ઝઘડો હતો : ACP
3 તોફાનીની ધરપકડ, અન્ય આરોપીઓની શોધખોળ
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં થયેલી મારામારી અને પથ્થરામારામાં બન્ને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ટોળા પૈકીના 3 શખ્સોને ઝડપી પાડી અન્યની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અલવા નાકા, કોતર તલાવડી, મનહર નગરમાં રાત્રીના સમયે 2 જુથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો. બનાવની જાણ જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં કેટલાક લોકોને પથ્થરના કારણે ઇજા પણ પહોંચી હતી. આ મામલે બન્ને પક્ષોએ માંજલપુર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક એકશનમાં આવીને જાહેર રોડ પર પથ્થરમારો કરી શહેરનો શાંતિભર્યો માહોલ ડહોળવાનો પ્રયાસ કરનાર શખ્સોની શોધખોળ આરંભી હતી. જેમાં પોલીસે બન્ને જુથમાંથી 3 શખ્સોની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે વડોદરા શહેર એફ’ ડિવિઝનના ACP પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, આ ફરિયાદમાં ફરિયાદી અલવા નાકા પાસે આવેલ ટી ઝોન પર સિગારેટ લેવા માટે ગયા હતા, અને પોતાના મિત્ર સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન તેઓની પાસે 4 લોકોએ આવી બોલાચાલી બાદ મારામારી કરી હતી. વધુમાં કહ્યું કે, આ બનાવ અનુસંધાને અંગત અદાવત રાખી મારામારી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.