/connect-gujarat/media/post_banners/b230293163ef1e25a84c66116757168025163dccd5fbcfda80ab2dd9f14cfec2.jpg)
વડોદરા ખાતે દૂધના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં ટીમ રિવોલ્યુશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું હોવાથી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી સંચાલક સ્વેજલ વ્યાસની પોલીસે અટકાયત કરી હતી. મહત્વનુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી ફોટો બતાવી મફતમાં 10 થેલી દૂધ લઈ જનારા વ્યક્તિએ જ પોલીસને આ અંગે ફરિયાદી કરી હતી.
દૂધના ભાવ વધારા સામે વિરોધ કરવા ટીમ રિવોલ્યુશન દ્વારા રવિવારે ગોરવા આઈટીઆઈ ખાતે મફત દુધ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, ધારાસભ્યો અને કોર્પોરેટર સાથેનો સેલ્ફી ફોટો બતાવીને 10 થી 2 થેલી સુધી લઈ જવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં 3300 લોકોએ દુધ મફત મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો બતાવીને 10 થેલી દુધ લઈ જનારા જીગ્નેશ નાયકે ગોરવા પોલીસ સ્ટેશનમાં પહોચી ટીમ રિવોલ્યુશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું હોવાથી કાર્યવાહી કરવા લેખીતમાં અરજી કરી હતી. જેને પગલે કાર્યક્રમમાં સ્થળ પર હાજર ગોરવા પોલીસે 24 કલાક બાદ સંસ્થાના સંચાલક સ્વેજલ વ્યાસ સહિતના આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે સ્થળ પર ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રખાયું હતું. તેમજ પોલીસ બંદોબસ્ત પણ હતો. ફરિયાદ ખોટી હોવાથી તેને રદ કરવી જોઈએ.
ઉલ્લેખનિય છે કે, આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત પણ હતો. ત્યારે ભીડ હોવાથી કાર્યવાહી કરાઇ ન હતી. પરંતુ બીજા દિવસે અરજી આધારે ગુનો દાખલ કરાયો હતો. ભાજપ વિરોધી કાર્યક્રમ હોવાથી રાજકીય દોરીસંચાર હેઠળ કાર્યવાહી કરાઇ હોવાના આક્ષેપ પણ થઇ રહ્યાં છે.
જોકે, સ્વેજલ વ્યાસે પણ ગોરવા પોલીસના પીઆઈને અરજી સ્વરૂપે ફરીયાદ આપીને જણાવ્યું છે કે, ગોરવા પંચવટી સોસાયટીની સામે બીજેપીના આયોજનમાં સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, મેયર કેયુર રોકડીયા સહિતના આગેવાનો દ્વારા 3 જુલાઈના રોજ સાર્વજનિક કિટ વિતરણનો પ્રોગ્રામ રાખી 200-300 લોકોને ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. તો તેમના વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેવું સ્વેજલે જણાવ્યુ હતું.