વડોદરા શહેર સ્થિત સયાજી હોસ્પિટલની રૂકમણી ચૈનાની પ્રસુતિ ગ્રુહમાં આવેલી મધર મિલ્ક બેંકે છેલ્લા 3 વર્ષમાં 1400 લીટર દૂધ દાનમાં મેળવતા આ માતૃબેંક અનેક નવજાત બાળકોના પોષણનું અનોખુ માધ્યમ બની છે.
વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે વર્ષ 2019માં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મધર મિલ્ક બેંકની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે આ પ્રકારની બેંકની શરૂઆત થઈ ત્યારે માતાઓમાં જાગૃતિનો અભાવ હતો. પરંતુ હવે દિવસેને દિવસે મધર મિલ્ક બેંકમાં ધાવણનું દાન આપવા આવનારી માતાઓનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસ દરમિયાન 15થી 20 જેટલી માતાઓ ધાવણનું દાન કરવા આવતી હોય છે. પહેલા સ્ટોરેજમાં 40 લીટર જેટલું દૂધ સંગ્રહિત રહેતું હતું. પરંતુ વપરાશ વધવાના કારણે હવે માંડ 4થી 5 લીટર દૂધનો સંગ્રહ રહે છે. અહીં આવતી ધાત્રી માતાના સૌપ્રથમ ટેસ્ટ કરવામાં આવતા હોય છે. જેમાં એચ.આઇ.વી, હિપેટાઇટીસ, વીડીઆરએલ જેવા નકારાત્મક આવે, ત્યારબાદ ધાત્રી માતા પાસેથી હોસ્પિટલ ગ્રેડ બ્રેસ્ટ પમ્પ દ્વારા ધાવણ લેવામાં આવે છે. પછી એકત્ર કરેલા ધાવણને 62.5 ડિગ્રી તાપમાને અડધો કલાક ગરમ કરી પેશ્ચુરાઇઝેશન કરીને સંગ્રહ કરવામાં આવે હોય છે. તેનો કલ્ચર ટેસ્ટ પણ કરવામાં આવે છે. ત્યારબાદ 20 ડિગ્રી ઠંડા તાપમાનમાં સંગ્રહિત કરવામાં આવે છે. સામાન્ય રીતે 125 એમ.એલ.ની એક બોટલમાં 3 માતાઓના દૂધને મિશ્ર કરવામાં આવતું હોય છે. આ સંગ્રહિત દૂધ 6 માસ સુધી ચાલે છે. એ પહેલા તેને જરૂરીયાતમંદ બાળકને આપી દેવાતું હોય છે. અત્યાર સુધી 9015 માતાઓએ પોતાના ધાવણનું દાન કર્યું છે. આ ઉપરાંત 1220 માતાઓએ પોતાના જ દૂધનું પોતાના જ બાળકોને માતૃબેંકના માધ્યમથી પાન કરાવ્યું છે. ખુશીની વાત તો એ છે કે, હવે ધાત્રી માતાઓ પણ જાગૃત બની છે. હોસ્પિટલમાં અનેક ધાત્રી માતાઓ સ્વયં દુગ્ધામૃતનું દાન કરવા માટે આવે છે.