OTT પ્લેટફોર્મ પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે, ત્યારે જુનાગઢ ખાતે પણ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ સામે ઉગ્ર વિરોધ નોંધાવી તંત્રને આવેદન પત્ર આપ્યું હતું.
હાલ સમગ્ર રાજ્યમાં મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જુનાગઢ ખાતે પણ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો. OTT પર રિલીઝ થનારી આ ફિલ્મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચગાળાનો સ્ટે મુકી દેવાયો છે. ફિલ્મના પોસ્ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મધપૂડો છેડાયો છે. ફિલ્મમાં ભગવાન શ્રીકૃષ્ણની છબીને ખોટી રીતે દર્શાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વૈષ્ણવાચાર્યએ જણાવ્યુ હતું કે, દરેક વખતે આ પ્રમાણે ફિલ્મના માધ્યમથી સનાતન ધર્મ પર અને હિંદુ દેવી દેવતાની છબીને લાંછન લગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે વલ્લભ સંપ્રદાય સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાય અને સમગ્ર સનાતન ધર્મના લોકો ફિલ્મને રિલીઝ નહીં થવા દેવા અંગે વૈષ્ણવાચાર્ય રઘુનાથજી મહારાજ, દાનીરાય ગૃહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના આગેવાનો, મહિલાઓ તેમજ સનાતનીઓ દ્વારા જુનાગઢ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.